Browsing all articles from June, 2009
પર્વતરાયની શરણમાં (૨)
શાકા વૅલીની આજુબાજુ સેંકડો ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સરુ, દેવદાર અને પાઇન વૃક્ષોનાં ગીચ જંગલ છે. ત્યાંથી થોડી વધુ ઉંચાઇ પર ખાસ પ્રકારના પૉપ્લર ઉગે છે. તેના થડની છાલ નોટબૂક જેવા પાતળા કાગળની થોકડી જેવી. આના પર તમે પત્ર પણ લખી શકો! મોંઘી કિંમત પર મળતા ખાસ પ્રકારના મશરૂમ અહીંના જંગલમાં ચારે તરફ ઉગતા હોય છે, પણ રીંછ અને ચિત્તાના ભયને કારણે ગ્રામવાસીઓ અહીં આવતા નથી. દસ - અગિયાર હજાર ફીટની ઉંચાઇએ ‘tree line’ સમાપ્ત થાય.(ટ્રીલાઇન કેવી હોય છે જોવા અહીં ક્લીક કરશો. ટ્રીલાઇન બાદ ચઢાણ કેવા હોય છે તેનો અંદાજ અહીં આવશે!). ટ્રીલાઇન બાદ અહીંના પહાડ પર ઝાડ કે પાન ઉગતા નથી. અૉક્સીજનનું પ્રમાણ ઘટી જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય. વળી અહીંથી છેલ્લી ત્રણ હજાર ફીટની ઉંચાઇ અતિ કષ્ટદાયક અને સીધાં ચઢાણની. દર ત્રણ-ચાર પગલાંએ શ્વાસ લેવા-છોડવા પડે. નાજુક ફેફસાંવાળા અહીં ટકી ન શકે. અમે માર્ચીંગ કરી રહ્યા હતા ત્યાં નીચેના જંગલમાંથી વિકરાળ ત્રાડ સાંભળી.અમે થંભી ગયા. અમારા ગાઇડ ગુલામ હૈદર માટે જાણે આ સામાન્ય ઘટના હોય તેમ તેણે કહ્યું, “શાબ જી, યે બનબૂઢેકી આવાજ હૈ. ઇસ મૌસમમેં સાથી કો ઢુંઢને કે લિયે ઐસી હી પુકાર દેતા હૈ. ઇસ મૌસમમેં લકડી કાટને હમારી અૌરતેં જંગલમેં નહિ જાતીં.” આ બાબતમાં મેં તેને અનેક સવાલ પૂછ્યા. શાકામાં પણ આ બનબૂઢા પાછલા કેટલાક વર્ષોમાં આવ્યા હતા, અને તેને તે પ્રસંગો બરાબર યાદ હતા. હા, વળી આ જંગલમાં ‘કસ્તુરા’ (કસ્તુરી મૃગ), રીંછ અને ચિત્તાઓનો પણ નિવાસ છે, તેવું તેણે જણાવ્યું. કસ્તુરાનો શિકાર કરવાની મારી ઇચ્છા હોય તો તે મને લઇ જવા તૈયાર હતો! મેં તેને નમ્રતાપૂર્વક ના કહી, સૈનિકો પણ conservationists હોઇ શકે છે!ચઢાઇના છેલ્લા પાંચસો ફીટ બાદ િશખર પર plateau હતો અને ત્યાં અમારી ચોકી. આ ઢાળ અત્યંત સિધો - એવો કે તેની ટોચ પર આવેલા કોઇ બંકર દેખાય નહિ. અમારે ત્યાં એવો શિરસ્તો હતો કે દૂરથી નિરીક્ષણ કરી રહેલ સંત્રીને શિખર તરફ આવતી આપણી ટુકડી દેખાય કે પોસ્ટ કમાન્ડર ચ્હાના થર્મૉસ, સૂકો મેવો વિ. લઇને તેમનું સ્વાગત કરવા નીચે આવે.
અસહ્ય ઠંડી વાળા આટલી ઉંચાઇ પર આવેલા શીત પ્રદેશમાં રહેવા સૈનિકો માટે કોઇ બૅરેક નથી હોતી. પહાડમાંથી ભેગા કરેલા પત્થરની ભિંત બનાવીને તૈયાર કરેલા બંકરમાં રહેવું પડે. બંકરની છત પર વળીઓ, તેના પર ટિનનાં પતરાંના છાપરાં. આ છાપરા પર માટીનો થર ચઢાવેલો હોય. બંકરની અંદર ગરમાવા માટે ‘બુખારી’ નામનું ટિનનું બંબા જેવું એક સાધન મૂકવામાં આવે. તેમાં બર્નર હોય છે. બર્નરમાં નળી દ્વારા કેરોસીનનાં ટીપાં પડે જેથી બુખારી આખી રાત બળતી રહી શકે. જો કે અમે તેવું કરી શકતા નહોતા. કેરોસીન બળે ત્યારે અતિશય ઠંડીને કારણે તેની ધુમ્રસેરનું ટાલ્કમ પાવડર જેવી ઝીણી મેશમાં રુપાંતર થતું. અમારા શ્વાસમાં આ મેશની રજકણ જવાથી ગળામાં અને નાકમાં તે ચોંટી જતી. માણસ થુંકે અથવા તેની ખાંસીમાંથી બલગમ નીકળે તો તે કાળા રંગનાં હોય. આથી રાતના સમયે થોડી હૂંફ આવે કે બુખારી ઓલવી, અમે લાકડાની પાટલીઓ પર મૂકેલી સ્લીપીંગ બૅગમાં પેસી જઇએ. સૂતી વખતે પણ બધા સ્નો બૂટ પહેરીને સ્લીપીંગ બૅગમાં જઇએ, કારણ બંકરની આાસપાસની જમીન પર બુખારીની ગરમીને કારણે બરફ પીગળીને અને જમીનના તળીયામાંથી પાણી બંકરમાં આવે. બુખારી ઓલવ્યા બાદ પણ જમીન પર પાણી તો રહે જ અને સવાર સુધીમાં તે જામીને બરફ થઇ જાય. ભુલથી પણ ઉઘાડો પગ આ પાણીમાં પડે તો વિંછીના ડંખ જેવું દર્દ થાય! એટલું જ નહિ, તેનાથી frost bite થવાની સંભાવના હોય છે. ફ્રૉસ્ટ-બાઇટનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો તેનું gangreneમાં રુપાંતર થતાં વાર ન લાગે.
અસહ્ય ઠંડી તથા હવામાં અૉક્સીજનની કમીને કારણે રાતે ઉંઘ પણ ન આવે.. આટલી ઊંચાઇ પર હવાનું દબાણ ઓછું હોવાથી રસોઇ ચઢવામાં લાંબો સમય લાગતો હોય છે, તેથી દાળ -ભાત લાંબો સમય રાંધવા છતાં થોડા કાચા રહી જાય. આટલી ઉંચાઇએ આવેલ ચોકીમાં શિયાળાના દિવસોમાં એક સ્વચ્છ જગ્યાની આસપાસ લાલ દોરડાથી ‘માર્કિંગ’ કરવામાં આવે. આ અમારો જલ-સ્રોત! આ જગ્યામાં જામેલો બરફ ચૂલા પર રાખેલ ખાસ પ્રકારની ડોલમાં મૂકી ગરમ કરીને પાણી થાય ત્યારે તેનો ચ્હા-પાણી અને રસોઇ માટે ઉપયોગ કરવાનો!
સાંભળ્યું હતું કે આપણા ઋષીઓ તથા સંતો આવી જગ્યાએ રહીને તપ-સાધના કરતા. તેમનો વિચાર કરૂં છું ત્યારે મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે.
Original Source: http://captnarendra.blogspot.com/
પર્વતરાયની શરણમાં…
આજે નગાધિરાજના શરણમાં રહેતા જવાનોની વાત કરીશું.સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે - જેમકે 'પૉઇન્ટ ૬૩૫', 'પડા ચિનાર', 'લોન ટ્રી', અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલીટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું “વિમલા” - મારી માતાનું નામ! કર્મધર્મ સંયોગે છ મહિના બાદ મારી નીમણૂંક વિમલા પોસ્ટના સેક્ટર કમાંડર તરીકે થઇ.
વિમલા ક્ષેત્રની જમીનનાં દર્શન વર્ષના ફક્ત ચાર થી પાંચ મહિના થાય. તે વખતે અહીંનું દૃશ્ય નયનરમ્ય હોય છે. અહીં અદ્ભૂત અૌષધીગુણ ધરાવતા બનફશાહ નામના ઝીણાં નીલા રંગના ફૂલ ઉગે. તળેટીમાં રહેતા લોકો બનફશાહનાં ફૂલ - કિલોના બે-ત્રણ હજાર રૂપિયા મળે એવા મૂલ્યવાન ફૂલ ચૂંટવા અહીં આવે. લાલ, લીલી ઝાંયવાળા હેધર (heather)નાં shrub અને નાનાં નાનાં છોડ. બાકીના સાત મહિના બરફથી ઢંકાય. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે ચોકીના અમુક સ્થળોએ ૫૦ ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન માઇનસ ૩૦થી ૪૦ ડીગ્રી હોય અને હવામાન કોઇ પણ પ્રકારની ‘ચેતવણી’ આપ્યા વગર બદલાય - એટલે બગડે. આવું થાય ત્યારે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સૂસવાટા કરતો બરફથી સભર પવન - blizzard - ફૂંકાય. કોઇ ઉભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલીંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. તેમની - અને અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ ન કરે. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં - એટલે કર્ણામાં ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે “વિમલા” અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ, સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઇ શકીએ. એવું લાગે જાણે પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઇ રહ્યા છીએ!
મે મહિનાથી જુલાઇ-અૉગસ્ટ સુધી વિમલા સેક્ટરમાં દસે’ક મહિનાની રસદ - કેરોસીન, ટીનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચ્હા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણઝાર પર લાદીને ‘ઉપર’ પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે ‘વિમલા’ સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણઝાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલ સામાન મોકલવાનું બંધ! હવામાન સારું હોય તો હવાઇદળનું હેલિકૉપ્ટર અઠવાડિયામાં એક વાર જવાનોની ટપાલ લઇને આવે અને તેમણે લખેલા પત્રો લઇ જાય. ચોકી પર કોઇ સખત બિમાર પડે તો તેને હૉસ્પિટલ લઇ જવા માટે પણ હેલિકૉપ્ટર આવે. ભારતીય ટેલીવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ તે સમયે અમારા બ્રિગેડ કમાંડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા, અને વિમલા ચોકી પર રહેતા સૈનિકો પર તેમનું ખાસ ધ્યાન રહેતું.
મારી કંપની અૅન શિયાળામાં “વિમલા” સેક્ટરમાં ગઇ. ત્યાં જવા બે દિવસ લાગે. સવારના દસે’ક વાગે ત્યાં જવા નીકળીએ અને ૭૫૦૦ ફીટની ઉંચાઇ વાળી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ - શાકા વૅલી-માં સાંજના સાતે’ક વાગે પહોંચીએ. શાકા વૅલી સમુદ્રતટથી ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વ લોક કદાચ આ જ હશે! અહીંના જેવી સૌંદર્યશાળી બહેનો અને એટલો જ રૂપાળો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા સુંદર પતંગિયા સુદ્ધાં મને બીજે ક્યાંય જોવા મળ્યા નથી.
હું જ્યારે ‘વિમલા’ જવા નીકળ્યો ત્યારે મારી ટુકડીમાં કંપની સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ, સિપાહી તોતારામ, કંપની ક્લર્ક બલબીર ચંદ અને ચાર પોર્ટર્સ હતા. તેમાંનો એક ગુલામ હૈદર સૌથી જુનો - અને વૃદ્ધ. સવારે દસ વાગે જમીને અમે નીકળ્યા. સાડા સાત હજાર ફીટની ઉંચાઇની ધાર પાર કરીને શાકા પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. શાકામાં રાત વાસો કરી અમે વહેલી સવારે ચાર વાગે ફરી પર્વત પર ચઢવાનું શરુ કર્યું. આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરાના કિનારા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો-એક મીટર પહોળી છે. પગદંડીની કિનારની નીચેની ખીણ ૧૫૦૦ ફીટ ઉંડી છે. એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે કારણ કે આ સ્થળે હિમપ્રપાત - avalanche- હંમેશા આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે તેથી અમારે શાકામાંથી ચાર વાગે પ્રયાણ શરુ કરવું પડ્યું હતું. આ પહેલાં વખતસર આ જગ્યા પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઇને કેટલાક જવાનો આ ઉંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છ’એક મહિના બાદ બરફ પીગળે ત્યારે તેમનાં શબને શોધવા આ ઉંડી ખીણમાં ખાસ ‘સર્ચ પાર્ટી’ મોકલવી પડતી. આવી જ રીતે મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઇને અદૃશ્ય થઇ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઉંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી બીજા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતા આ માનચિહ્ન સૈનિકો માટે જીવા દોરી સમાન હોય છે. આ દોરડાની નીચે ચાલીને જ બીજી ચોકીએ જવા બરફમાં ‘પદયાત્રા’ કરવી જરુરી હોય છે. મેં જ્યારે આ સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને એવી બે જગ્યાઓ બતાવવામાં આવી, જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે િશખર વચ્ચે પૂલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહેવાય છે(કૉર્નિસ કેવી હોય છે તે જોવા અહીં ક્લીક કરશો તેમાંનુ છેલ્લું ચિત્ર અમારે ત્યાંની કૉર્નિસને હૂબહૂ મળતું આવે છે). પ્રથમ દૃષ્ટિએ સખત રસ્તા વાળા પૂલ જેવી લાગતી આ કોર્નિસ પરથી સહેલાઇથી જઇ, બે-અઢી કલાકની કૂચમાંથી બચી જવાય એવું લાગે. બે વર્ષ પહેલાં દક્ષીણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યો.
છ મહિના બાદ તેમનાં શબ હાથ લાગ્યા હતા.
Original Source: http://captnarendra.blogspot.com/
નગાધિરાજના દરબારમાં
રજૌરીમાં શાંતીપૂર્વક (!) સમય ગાળ્યા બાદ અમારી બટાલિયનને ૧૩૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલા તંગધાર વિસ્તારમાં જવાનો હુકમ મળ્યો. મને બટાલિયનની અૅડવાન્સ પાર્ટીના કમાન્ડર તરિકે ત્યાંની ચોકીઓનો ચાર્જ લેવા માટે મોકલવામાં આવ્યો. સંધ્યાના યોગ-ક્ષેત્રની વાતો રજૌરીથી અમારી બટાલિયન આ ‘high altitude’ માં આવેલ વિકટ વિસ્તારમાં જવા નીકળી ત્યારથી શરુ થઇ.બટાલિયનના સો’એક જેટલા જવાનો તથા જરુરી શસ્ત્ર-સામગ્રી લઇ દસ ટ્રક સાથે અમે સુંદરબની, ખુની નાલા અખનૂર અને જમ્મુ થઇ ઉધમપુર પહોંચ્યા. અહીં રાત રોકાઇ, કાશ્મિરના ખતરનાક રસ્તા પર સોપોર, બારામુલ્લા, કુપવાડા થઇ, અગિયાર હજાર ફીટની ઉંચાઇએ આવેલ ભયાનક એવા નસ્તાચુન પાસ પર પહોંચ્યા. નસ્તાચુન પાસ એટલે માણસના ધૈર્ય, હિંમત અને આત્મબળની કસોટી. ઉનાળામાં સૌંદર્યની ખાણ સમાન નસ્તાચુન શિયાળામાં વિકરાળ પહાડનું સ્વરુપ ધારણ કરી લે છે. તે વખતે ત્યાંથી કોઇ ગાડી - 4x4 જીપ પણ પાર જઇ શકતી નથી. આવા ભયાનક ઘાટને પાર કરી અમે ઝર્લા નામની ખીણમાં ઉતર્યા અને ત્યાંથી આગળ અમે કર્ણા નામના નાનકડા કસ્બામાં અમારું નવું બટાલિયન હેડક્વાર્ટર હતું ત્યાં પહોંચ્યા.
નસ્તાચુન પાસને એક રંગીન મિજાજના બ્રિગેડ કમાન્ડરે તે સમયની લોકપ્રિય અભિનેત્રીનું નામ ‘સાધના’ (જુઓ ચિત્ર)આપ્યું હતું. અહીં બતાવેલ ચિત્ર સાધનાથી લગભગ ૨૦૦૦ ફીટ નીચે છે. ઉપર કેવા હાલ હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શિયાળામાં નસ્તાચુન પાસને પસાર કરવામાં અગાઉ ઘણા જવાનો અને અફસરોએ જાન ગુમાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાંથી નસ્તાચુનનો ડર નીકળી જાય એટલા માટે તેનું આકર્ષક નામાભિધાન કરવામાં આવ્યું. નસ્તાચુનની ટોચ પર અફસરો, જ્યુનિયર કમીશન્ડ અફસર તેમજ જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં સાધના પાસ પર વાહન વ્યવહાર બંધ પડી જાય છે. બરફનાં તોફાન તથા હિમવર્ષાનું પ્રમાણ બેહદ હોય છે, તેથી રજા પર જતા કે રજા પરથી પાછા આવતા જવાનોને પગપાળા સાધના પસાર કરવો પડે છે. બરફ પડ્યા બાદ તેની ટોચથી કર્ણા સુધી વળીઓ રોપી, તેના પર લાલ રંગનાં દોરડાં બાંધવામાં આવે છે. આ દોરડાના સહારે સુરક્ષીત માર્ગ શોધવો સહેલું થાય છે.
નસ્તાચુન પાર કરતી વખતે અમારા સિવિલિયન પોર્ટરે મને કહ્યું, “સર, ‘સાધના’થી નીચે ઉતરો ત્યારે ઝર્લાની ખીણમાં સાવચેત રહેવું. આ ખીણમાં એક બલા વસે છે. અત્યંત રુપવતિ યુવતિ બની તમારી સામે આવશે અને તમને મંત્રમુગ્ધ કરી સહવાસ માટે પ્રેરશે. તમે તેની સાથે વાત કરો તો પણ તે તમારી રુહને ગુલામ બનાવી દેશે. કર્ણામાં તમને એવા કેટલાક માણસ દેખાડીશ જેમના રુહને ઝર્લાની બલા ભરખી ગઇ છે. આ માણસો પ્રેતની માફક રઝળતા દેખાશે”. એકાદ મહિના બાદ તેણે આવા બે-ત્રણ માણસો બતાવ્યા, પણ અમારી પાસે તેની ચોકસાઇ કરવાનો સમય કે જરૂરીયાત નહોતી. ગાઇડની વાતમાં એક જ સાચી વાત દેખાઇ: ઝર્લાની ખીણ કોઇ સ્વરૂપવાન સુંદરી કરતાં ઓછી સુંદર નહોતી. જો કે સૌંદર્યથી સભર ખીણમાં એક પ્રકારની ભયાનકતા હતી. અહીં ઘણા જવાનોએ હિમપ્રપાતમાં પ્રાણ ખોયા હતા.
કર્ણા કૅમ્પમાં અમારી બટાલિયન તેમજ બ્રિગેડનું હેડક્વાર્ટર હતું. સમુદ્રની સપાટીથી કર્ણા ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર. સાધના પાસથી અહીં ઉતર્યા બાદ અમારી બટાલિયનની જવાબદારી હેઠળ આવતી બધી ચોકીઓનો ચાર્જ મારે લેવાનો હતો. સૌ પ્રથમ હું કર્ણાના તંગધારની આસપાસનો વિસ્તાર જોવા ગયો. મારી સાથે ગામના તહેસીલદાર (આપણા મામલતદારના સમકક્ષ) હતા. તેઓ મને પહાડમાંથી ખળખળ કરી ઉતરતા એક ઝરણાની પાસે લઇ ગયા. ઝરણાની પાછળ ઘેરું જંગલ હતું. “આ જંગલમાં બન બુઢો રહે છે. તેના આખા શરીર પર લાંબા લાંબા વાળ હોય છે. સફેદ વાળને કારણે અહીંના લોકો તેને જંગલમાં રહેનારો બુઢ્ઢો - બન બુઢો કહે છે. સાત-આઠ ફીટ લાંબો આ બન બુઢો અહીંની સ્ત્રીઓને ઉપાડી જવા કોઇ વાર આવતો હોય છે.” ઝરણાની નજીક એક મકાન હતું. આ મકાન બતાવીને તહેસીલદારે કહ્યું, “આ મકાનમાં રહેતા પરિવારની યુવાન સ્ત્રીને એક બન બુઢો ચારે’ક વર્ષ પહેલાં ઉપાડી ગયો હતો. ગામના લોકો બંદુક લઇને તેની પાછળ દોડી ગયા અને મહા મુશ્કેલીએ તેને છોડાવી આવ્યા. બન બુઢાને બે નાળી બંદુકના છરા વાગ્યા તેથી તે પેલી સ્ત્રીને મૂકીને નાસી ગયો. પેલી સ્ત્રી એટલી ગભરાઇ ગઇ હતી કે ડરના માર્યા તેણે ખાવા પીવાનું છોડી દીધું હતી અને થોડા દિવસ બાદ તે મરી ગઇ.” હું વિચારમાં પડી ગયો. જે રીતે તહેસીલદારે બન બુઢાનું વર્ણન કર્યું તેના પરથી તો એવું લાગ્યું કે તે યેતિ - હિમ માનવની વાત કરી રહ્યો હતો. આપણને પરિકથા લાગે તેવી બન બૂઢાની વાત કર્ણામાં અત્યંત સામાન્ય અને પ્રચલિત વાયકા છે.
બીજા દિવસે હું મારા સહકારીઓ સાથે ચોકીઓનો ચાર્જ લેવા નીકળ્યો. હું જ્યારે પહેલી ચોકીની તળેટીએ પહોંચ્યો ત્યારે ત્યાંના પહાડ જોઇ મારું હૈયું બેસી ગયું. હિમાલય વિશાળ છે એ તો બધા જાણે છે, પણ તેની વિશાળતાનું પરિમાણ આટલી નિકટતાથી જોયું નહોતું. તળેટીથી પહાડની ઉંચાઇ આવડી હશે તેની મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. પહાડના શિખર પર અમારી ચોકી હતી અને મસ્તક ઉંચું કરી ત્યાં નજર કરી તો મારી હૅટ પીઠની પાછળ પડી ગઇ! લગભગ ૫૦-૬૦ અંશના ઢાળના સીધા અને ૧૧૦૦૦ ફીટ ઉંચા પહાડ પર મારે ચઢવાનું હતું. આવા પંદર સ્થળોનો ચાર્જ લેવા મારે જવાનું હતું. બધા જ સ્થળો લગભગ આવી જ ઉંચાઇએ આવેલા. તળેટીએ હોય તેવી એક જ ચોકી હતી, અને ત્યાંથી પ્રખ્યાત એવી કૃષ્ણગંગા (ફોટો) નદી સાવ નજીક હતી. ત્યાં જઇને નહાયો તો નહિ, પણ હાથ, પગ અને મ્હોં ધોયા, તેનાં નીર માથા પર ચઢાવી શક્યો!
અમારા બટાલિયન સેક્ટરની બધી ચોકીઓ પર જવામાં કેવી તકલીફ નડી તેની વિગત નહિ આપું. કેવળ સૌથી વધુ મુશ્કેલ સ્થળ - જે ૧૩૨૦૦ ફીટની ઉંચાઇ પર હતું - નસ્તાચુનથી ૨૦૦૦ ફીટ વધુ ઉંચું સ્થાન - તેની વાત કરીશ.
Original Source: http://captnarendra.blogspot.com/
રજૌરી … (૨)
SSGની ટુકડીને કામયાબી અપાવવા દુશ્મનની મશીનગનનું મારા જવાનો પર અવિરત ફાયરીંગ ચાલુ હતું તેને ચૂપ કરવાનો મેં નિર્ણય લીધો.રાતના સમયે કોઇ હથિયારમાંથી અૉટોમેટીક ફાયરીંગ કરવાનું હોય તો તેમાં ‘ટ્રેસર’ ગોળીઓ મૂકવામાં આવે છે. રાતાચોળ તણખા જેવી આ ગોળીઓ ક્યાંથી નીકળી ક્યાં જઇને આઘાત કરે છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. અમે જોઇ શક્યા કે દુશ્મનની કઇ ખાઇમાંથી તેમની મશીનગન ફાયરીંગ કરી રહી હતી. મેં નિર્ણય લીધો અને પાંચ સેકંડ માટે અમારા ભારે હથિયારમાંથી દુશ્મનની ટ્રેંચ પર એક જબરજસ્ત ‘બર્સ્ટ’ માર્યો. એક સેકંડમાં દસ ગોળીઓ છૂટે એવા અમારા હથિયારના ધડાકા અને તેના પડઘા આખી ખીણમાં ધરતીકંપની જેમ ગાજી ઉઠ્યા. આ પાંચ સેકંડની કાર્યવાહી બાદ પહાડોમાં ભયંકર શાંતિ ફેલાઇ ગઇ. દુશ્મનના હથિયારો થીજી ગયા. રાતના ત્રણ વાગ્યા હતા. અમારી જે પોસ્ટ પર ગોળીબાર ચાલી રહ્યો હતો તેના જવાનોને નૈતીક આધાર અને હિંમત આપવા તેમની પાસે જવા નીકળતો હતો ત્યાં અમારા ફીલ્ડ ટેલીફોન અને વાયરલેસમાં જાણે ભૂત ભરાયું હોય તેમ ધણધણવા લાગ્યા. બ્રિગેડથી માંડી અમાર બધા ઉપરી અધિકારીઓ પૂછવા લાગ્યા કે ભારે હથિયારનો ઊપયોગ કોણે અને શા માટે કર્યો. મેં તેમને સત્ય પરિસ્થિતિ જણાવી. મને આદેશ મળ્યો કે મારા તરફથી થયેલા ‘અનધિકૃત ફાયરીંગ’ની તપાસ કરવા અમારા ‘થિયેટર કમાંડર’ બ્રિગેડીયર સમશેરસિંહ જાતે આવી રહ્યા છે, અને મારે તેમનું મારા સેક્ટર હેડક્વાર્ટરમાં સ્વાગત કરવાનું છે. (થિયેટર એટલે સિનેમા નહિ - થિયેટર અૉફ વૉર હોય છે.)
મારા માટે આ ગંભીર બાબત હતી. નિર્ણય લેવામાં મારી ભૂલ જણાઇ આવે તો મારી કારકિર્દી પર આંચ આવે તેમ હતું. આ માટે જ ઊંચા હોદ્દાના અફસર જાતે તપાસ કરવા આવી રહ્યા હતા.
બૉર્ડર પર યુદ્ધની સ્થિતિ હોય તો તે માટે પણ અમારો ‘ડ્રેસ કોડ’ હોય છે, જેમાં કોઇએ મેડલની રિબન કે અમારા હોદ્દા દર્શક ચિહ્ન પહેરવાના ન હોય. તે દિવસે મેં dress codeનો ભંગ કરી બીજો અપરાધ કર્યો. બે યુદ્ધ તથા અન્ય ફીલ્ડ પોસ્ટીંગમાં કરેલી સેવાના મને કૂલ આઠ મેડલ મળ્યા હતા. દરેક મેડલને અગ્રક્રમ હોય છે. ઘેરા નીલા અને સફેદ રંગની વચ્ચે લાલ દોરાની મારી પહેલી મેડલ-રિબન હતી ૧૯૭૧માં મળેલ રાષ્ટ્રપતિના વીરતા માટેના પોલીસ ચંદ્રકની. બ્રિગેડિયર સમશેરસિંહ ડોગરા રાજપુત હતા. મેં તેમને સૅલ્યૂટ કરી સ્વાગત કર્યું ત્યારે તેમણે મને પ્રથમ સવાલ કર્યો, “મેજર, આ પહેલો મેડલ શાનો છે? મેં આ અગાઉ આ રિબન જોઇ નથી.”
મેં તેમને જવાબ આપ્યો અને તેઓ થોડા ‘ઇમ્પ્રેસ’ થયા. ત્યાર બાદ જ્યાંથી મેં મારૂં હથિયાર વાપર્યું હતું ત્યાં અને જે પોસ્ટ પર SSGએ હુમલો કર્યો હતો તે સ્થાને તેમને લઇ જવાનો હુકમ આપ્યો. બ્રિગેડિયરની સાથે અમારો ‘અૉપરેશનલ કમાંડર’ ઇન્ફન્ટ્રીનો કમાંડીંગ અફસર હતો. બ્રિગેડિયર સાહેબે તેમની ‘પાટલૂન ઉતારી હતી’ એ તેમના મોઢા પરથી જણાઇ આવતું હતું. બ્રિગેડિયર ન જુએ તે રીતે તેઓ હોઠ ફફડાવીને મને ગાળો આપી રહ્યા હતા, કારણ કે મેં જે કાર્યવાહી કરી હતી તે વિશે ન તો મેં તેમની રજા લીધી હતી, ન તો તેનો રીપોર્ટ આપ્યો હતો. મારા અૉપરેશનલ કમાંડર તરીકે તેમણે કદી મારા સેક્ટરની મુલાકાત નહોતી લીધી, કદી પણ મને તેમની ‘અૉપરેશનલ મીટીંગ’માં બોલાવ્યો હતો અને કદી કોઇ સંપર્ક નહોતો રાખ્યો. આ બધું કરવાની તેમની જવાબદારી હતી, જેની તેમણે કદી દરકાર નહોતી કરી. આથી મારી બધી ગતિવિધીઓનો રિપોર્ટ હું મારા કમાન્ડન્ટને જ અાપતો. બ્રિગેડિયરે નિયમ પ્રમાણે આ પ્રસંગ માટે મારા ‘અૉપરેશનલ કમાંડર’ને જવાબદાર ઠરાવ્યા હતા. આ બાબતમાં તેમની પાસે કોઇ જવાબ નહોતો તેથી સમશેરસિંહ તેમના પર બરાબર ‘વરસ્યા’ હતા, તેથી ઇન્ફ્ન્ટ્રી કમાંડર મારા પર પ્રસન્ન નહોતા!
બ્રિગેડિયર સમશેરસિંહે મને સૂચના આપી કે તપાસ દરમિયાન મારે એક અક્ષર પણ ન બોલવો. તેઓ પોતે અંગત રીતે સમગ્ર બનાવની માહિતી મેળવશે. બે કલાકની પદયાત્રા બાદ અમે બનાવના સ્થળે પહોંચ્યા અને તેમણે તપાસ આદરી. દરેક જવાનને બારીકાઇથી પ્રશ્નો પૂછ્યા. દુશ્મનોએ જ્યાં LMG ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો તે ટ્રેન્ચની આગળ જઇ દુશ્મન સૈનિકના બૂટનાં નિશાન જોયા. મને મારા કામ પર અને લીધેલા નિર્ણય પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં આ તપાસના પરિણામની ચિંતા છોડી હતી. બીજા બે કલાકની પદયાત્રા અને તપાસ બાદ અમે પાછા મારા હેડક્વાર્ટરમાં પહોંચ્યા. મિલીટરીના મસ મોટા સફેદ અૅનેમલના ટમલરમાં પીરસેલી ચ્હા પીને બ્રિગેડિયર ત્યાંથી રવાના થયા. જતાં પહેલાં તેમણે મને કશું કહ્યું નહિ.
પંદર દિવસ બાદ બ્રિગેડના અફસરોની મિટીંગ થઇ. મીટીંગના અંતે બ્રિગેડિયર સમશેરસિંહે મારા સેક્ટરમાં થયેલ બનાવ વિશે વિસ્તારથી વાત કરી. તેમણે એક ઇન્ફન્ટ્રીના મેજરને પૂછ્યું, આ બાબતમાં તેણે શું કરવું જોઇએ.
“સર, ચાલુ હુકમ પ્રમાણે વળતી કાર્યવાહી માટે હું બ્રિગેડની રજા માગીશ. જો મને ફાયરીંગ કરવાનો હુકમ મળે તો હું અસરકારક જવાબી ફાયરીંગ કરીશ.”
“સ્ટૅંડીંગ અૉર્ડર પ્રમાણે officer on the spotને પ્રસંગની ગંભીરતાને જોઇ યોગ્ય કારવાઇ કરવાનો અધિકાર છે, તે જાણો છો? આ હુકમમાં સ્પષ્ટ આદેશ છે કે સામાવાળા તરફથી serious provocation થાય તો તમને કોઇની રજા વગર તાત્કાલિક અને યોગ્ય લાગે તેવા પગલાં લેવાનો અધિકાર છે. કાર્યવાહી કર્યા બાદ તમારે મને જાણ કરવાની હોય છે. આવું કરો તો હું તમને ૧૦૦ ટકા સપોર્ટ કરીશ. મોકા પર હાજર તમે છો, હું નહિ. સ્થાનિક સેનાનાયક તરીકે પ્રસંગનું assessment કરી શકો તેવી તમને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમ છતાં તમે રજા માગતા રહેશો?"
મારી તરફ અંગુલીનિર્દેશ કરી તેમણે કહ્યું, “બીએસએફના આ અફસરે યોગ્ય કારવાઇ કરી હતી તેના માટે હું તેને અભિનંદન આપું છું.” આમ કહી તેમણે એક પ્રસંગનો દાખલો આપ્યો.
"આ જ જગ્યા - 'બડા ચિનાર’ પર બીએસએફની ટુકડીઓ મોકલવામાં આવી, તે પહેલાં ત્યાં મિલીટરીની બટાલિયન અહીં તહેનાત હતી. આપણા લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને આપણી પ્રતિકાર કરવાની કહેવાતી અશક્તિની મજાક ઉડાવવા પાકિસ્તાની ચોકીના જવાનોએ તેમના ધાર્મિક દિનની ઉજવણી માટે આપણી ચોકીની સામે - ૧૦૦ ગજ પર આવેલી LC પર એક વાછરડું ખેંચી લાવ્યા અને તેને આપણા કંપની કમાન્ડર અને જવાનોની નજર સામે હલાલ કર્યું. આ જાણે ઓછું હોય, તેમણે તેના માંસના ટુકડા ભારતની સરહદમાં વસતા કાશ્મિરીઓને વહેંચવાની શરૂઆત કરી. આપણા આ “ભારતીય” કાશ્મિરીઓ ખુશીથી ત્યાં જઇને તેમની ‘મહેરબાની’ લઇ આવતા હતા. આપણી ચોકીના કૅપ્ટને આ રોકવા માટે ફાયરીંગ કરવા માટે બ્રિગેડની રજા માગી. કમાંડરે તેને ‘સ્થળ પરના કમાંડર તરીકે યોગ્ય અૅક્શન’ લેવા જણાવ્યું. કૅપ્ટનને જવાબદારી લેવી નહોતી તેથી તેણે કાંઇ કર્યું નહિ. મારી દૃષ્ટીએ આ ગંભીર પ્રોવોકેશન હતું. ઇન્ફન્ત્ટ્રીના કૅપ્ટને આક્રમક કાર્યવાહી કરી હોત તો બ્રિગેડે તેને ટેકો આપ્યો જ હોત."
મને બીજી વાર ચંદ્રક મળ્યા જેટલો આનંદ થયો.
Original Source: http://captnarendra.blogspot.com/
રજૌરી: શાંતિથી રહેવા દો ને બાપલા!
અમારી એક ચોકીનું નામ હતું “બડા ચિનાર” (ચોકીનું નામ બદલવામાં આવ્યું છે). તેના કમાંડર ઇન્ફન્ટ્રીની રેજીમેન્ટમાંથી મારા સેક્ટરમાં ડેપ્યુટેશન પર આવેલા કૅપ્ટન ક્રિશન વાસુદેવ હતા. સેક્ટરનો ચાર્જ લઇને મને એક દિવસ પણ નહોતો થયો અને વહેલી સવારે લાઇટ મશીનગન (LMG)ના ફાયરીંગ નો અવાજ આખી ખીણમાં ધમધમી ઉઠ્યો. મેં ફીલ્ડ ટેલીફોન પર વાસુદેવને પૂછ્યું તો જાણવા મળ્યું કે બડા ચિનાર પર ફાયરીંગ થઇ રહ્યું હતું. બે કલાકની પદયાત્રા બાદ ત્યાં પહોંચ્યો ત્યારે પણ થોડી મિનીટોના અંતરે ફાયરીંગ ચાલુ જ હતું. વાસુદેવ તથા જવાનો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમની સામેની પાકિસ્તાની પોસ્ટ કેવળ ૧૫૦-૨૦૦ મીટર પર હતી ત્યાંથી ગોળીબાર થતો હતો. બિગ ટ્રી અને તેમની વચ્ચે LC હતી. જમીન પર આ લાઇન ખેંચાઇ નહોતી તેથી પાકિસ્તાનને તે મંજુર નહોતી!અમારી કંપનીઓ જે વિસ્તારમાં મોરચા ખોદીને બેઠી હતી ત્યાં ઝાઝી વસ્તી નહોતી, તેથી જમ્મુ-કાશ્મિરની સરકારે પાણીની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમારા રોજિંદા ઉપયોગ માટે નજીકના પહાડી ઝરણાં - જેને કાશ્મિરમાં ચશ્મા કહે છે ત્યાંથી પાણી લાવીએ. એક દિવસ અમારા લંગર (રસોડા)માં કામ કરનાર સૈનિકો ચશ્મા પર પાણી લેવા ગયા, પાકિસ્તાની સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. અમે ફ્લૅગ મીટીંગ કરી તો તેમણે કહ્યું, “આ ચશ્મો અમારા વિસ્તારમાં છે. એક પણ ડગલું મૂકશો તો જાન ગુમાવી બેસશો.” યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકે કહ્યું, “આ disputed territory છે તેથી અમે કંઇ પણ કરવા અશક્તિમાન છીએ!”
સામાવાળાઓની ધોંસ એટલી વધી ગઇ હતી કે તેમના કોઇ સૈનિકને કંટાળો આવે તો અમને બે-ચાર ગાળો અાપી, રાયફલ કાઢી અમારી ચોકી તરફ દસ-બાર ગોળીઓ છોડી દે. આ સત્ય હકીજત છે, અને હું તેનો સાક્ષી છું.
આમ અમારા દિવસ વીતતા હતા. એક દિવસ અમને બધા ‘ફીલ્ડ કમાંડરો’ને હેડક્વાર્ટરમાં ખાસ મીટીંગ માટે બોલાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનામાં ખાસ કમાંડો રેજીમેન્ટ - સ્પેશીયલ સર્વિસ ગ્રૂપ -SSG- છે, જેને પાકિસ્તાનની ‘શાન’ ગણવામાં આવે છે. તેમની ફોજમાં જ પૂરવાર થયેલા શ્રેષ્ઠ નિશાનબાજ તથા શારીરિક અને માનસિક દૃઢતાની પરમોચ્ચ કસોટીમાં સફળ થનાર કમાન્ડો અફસર અને જવાનોને તેમાં લેવાય છે. આપને ખ્યાલ હશે કે જનરલ મુશર્રફ SSGના અફસર હતા. બીજી રસપ્રદ વાત: પાકિસ્તાનનું સર્જન થયા બાદ ભારતીય સેનાના અફસરોને જે દેશનીસેનામાં જવું હોય ત્યાં જવાની છૂટ આપવામાં આવી હતી. મુંબઇના ગુજરાતી મેમણ પરિવારના અગ્રણી સર ઇસ્માઇલ મીઠા મેમણના પુત્ર પાકિસ્તાનની સેનામાં ગયા અને જનરલ મીઠાના નામે પ્રસિદ્ધ થયા. જનરલ મીઠા SSGના સ્થાપક હતા!
SSGના કૅડેટ્સની ટ્રેનિંગ પૂરી થતાં તેમને કાશ્મિરમાં આપણી સેનાની ચોકી પર ‘raid’ કરવાનું ખાસ ‘મિશન’ આપવામાં આવે છે. મીટીંગમાં અમને જણાવવામાં આવ્યું કે આપણા ગુપ્તચરો ખબર લાવ્યા હતા કે SSGની ટ્રેનીંગ લેનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઇ જવાનો ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો.
બ્રીફીંગ બાદ હું તરત મારા સેક્ટરમાં પહોંચી ગયો. ત્રણ કલાકના માર્ચ બાદ રાતે હું મારી ટીમ સાથે મારા સેક્ટરની ફૉર્વર્ડ લોકેલીટીમાં ગયો. ચોકીઓમાં બે દિવસ અને બે રાત રહી, ત્યાંના દરેક સૈનિકની ટ્રેન્ચમાં ‘પોઝીશન’ લઇ બેઠેલા જવાનો સાથે સમય ગાળ્યો. તેમની જવાબદારીના વિસ્તારમાં દુશ્મનની હિલચાલ દેખાય તો તેમણે શી કાર્યવાહી કરવાની છે તે સમજાવ્યું. દરેક જવાનને તેનો 'ટાસ્ક' યાદ છે કે નહિ તેની ચોકસાઇ કરી. અમારા જવાનો ભારતના બધા રાજ્યોમાંથી આવ્યા હતા. પોતાની જવાબદારી ઉપરાંત તેમની દેશપ્રેમની ભાવના મજબૂત હતી. મને હૈયાધારણ થઇ કે SSGની કોઇ યુક્તિ અમારા સૈનિકોની સામે ચાલી નહિ શકે. ખાસ તો મેં તેમને એ હુકમ આપ્યો કે જો દુશ્મન તેમની સંરક્ષક ખાઇ સુધી આવેલો દેખાય તો મારા હુકમની રાહ જોયા વગર તેમણે ગોળી ચલાવવી. આનું જે કાંઇ પરિણામ આવે તો તેની હું અંગત જવાબદારી લઇશ એવું જણાવ્યું.
પાંચમા દિવસની રાતે હું માર સેક્ટર હેડક્વાર્ટરની સૌથી આગળની ખાઇમાં હતો ત્યારે રાતના બે-અઢી વાગે લાઇટ મશીનગનમાંથી નીકળતી ગોળીઓની ધણધણાટી સાંભળી. પાંચ સેકંડનો સમય નહિ વિત્યો હોય ત્યાં પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી FDLs પર ભારે ગોળીબાર શરૂ કર્યો. એક ‘મિનિ-યુદ્ધ’ શરૂ થઇ ગયું હતું. ફીલ્ડ ટેલીફોન પર ચોકીઓના કમાંડરો સાથે વાત કરતાં જણાયું કે અમારી એક FDLમાં લાઇટ મશીનગન પોસ્ટ પર પાકિસ્તાનના SSG કમાંડોની ટુકડી પહોંચી હતી. દુશ્મનને લાગ્યું કે તે સમયે અાપણા સંતરી ગાફેલ હશે, તેથી ‘ફિક્સ્ડ લાઇન’ પર ગોઠવેલી LMGને ખેંચીને લઇ જવાના ઇરાદાથી તેઓ આપણી ખાઇ સુધી પહોંચી ગયા. ભારતનો બહાદુર સંતરી સિખ લાન્સ-નાયક તૈયાર બેઠો હતો. તેણે દુશ્મનને જોતાં વેંત ૨૮ ગોળીઓની મૅગેઝીન ચલાવી. દુશ્મન અમારા ગોળીબારમાં સપડાઇ ગયો હતો. ત્યાંથી તેમને કાઢવા માટે પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારા પર ગોળીબાર શરૂ કર્યો. આમાંનો સૌથી મોટો માર મારી કમાંડ પોસ્ટની સામે આવેલી ચોકીમાંની મશીનગનમાંથી આવી રહ્યો હતો. તેમનો ગોળીબાર રોકવા મારી બટાલિયન કે આર્મીના અૉપરેશનલ કમાંડરની “પ્રૉપર ચૅનલ”થી રજા લેવા જઉં તો તે આવતાં સુધીમાં કેટલો સમય નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું. તે દરમિયાન આપણા જવાનોની સલામતિ જોખમમાં મૂકાતી હતી. મેં પોસ્ટના લાન્સનાયક સાથે વાત કરી અને તેના પ્લૅટૂન કમાંડર પાસેથી રિપોર્ટ મેળવ્યો. જીપ્સીએ શો નિર્ણય લેવો જોઇએ?
તેની જગ્યાએ આપે શું કર્યું હોત?
Original Source: http://captnarendra.blogspot.com/
૧૯૭૬-૧૯૮૦: ગુજરાતથી રજૌરી અને તંગધાર (કાશ્મિર)
ભુજ પાછો ફર્યો અને બે માસમાં અમદાવાદમાં આવેલ અમારા ડીઆઇજી હેડક્વાર્ટરમાં મારી નીમણૂંક જૉઇન્ટ આસિસ્ટંટ ડાયરેક્ટરના પદ પર થઇ. નવી ઘોડી નવો દાવ શરૂ થયો. (અહીં કહેવાનું રહી ગયું કે અમે ભુજ હતા ત્યારે કેટલાક પ્રસંગો ઝપાટાબંધ થઇ ગયા. અનુરાધા અને બાળકોને કાયમી વસવાટ માટે લંડન મોકલ્યા. મારૂં જવાનું ચાર વર્ષ માટે મોકુફ રહ્યું. આની વાત ફરી ક્યારે'ક કરીશ. અત્યારે તો 'યુદ્ધસ્ય રમ્યા: કથા:'!)અમદાવાદમાં મને સાબરમતીના કાંઠે કૅમ્પ વિસ્તારમાં આવેલ વિશાળ સરકારી આવાસમાં રહેવા મળ્યું. આ એવું પોસ્ટીંગ હતું જેનું મેં કદી સ્વપ્ન સેવ્યું હતું. વતનમાં - મારા પોતાના શહેરમાં અનુરાધા અને અમારા બાળકો સાથે એકા’દ બે વર્ષ રહેવા મળે તેવી અમારી ઇચ્છા હતી. સ્વપ્ન સાકાર થયું, પણ તે અધુરું હતું. અમદાવાદનું મારૂં વાસ્તવ્ય એક વર્ષનું રહ્યું.
બીએસએફના જવાનોની જીંદાદિલીની મને મારી નોકરીની શરૂઆતથી જ ખાતરી થઇ હતી. પરંતુ તેમની સહિષ્ણુતા અસિમીત હતી તેનો અનુભવ મને અમદાવાદમાં આવ્યો. મારી બહેન મીનાના સૌથી નાના પુત્ર રજનીશની spleenમાં એવી બિમારી થઇ હતી કે તેને અૉપરેશન દ્વારા કાઢી નાખવાની જરૂર પડી. પૅથોલૉજીકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના રક્તનું ગ્રુપ અસામાન્ય - ‘બી નેગેટીવ’ હતું. વાડીલાલ સારાભાઇ હૉસ્પીટલની રક્ત બૅંકમાં આ વર્ગનું લોહી નહોતું. જ્યાં સુધી ત્રણ બાટલા બી નેગેટીવની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેનું અૉપરેશન થઇ શકે તેમ નહોતું.
હું અૉિફસમાં બેસીને ગંભીર વિચાર કરી રહ્યો હતો ત્યાં મારા પર્સનલ આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર રવીંદ્રન્ નાયર આવ્યા. તેમણે મને ચિંતાનું કારણ પૂછ્યું. તેમને મેં વાત કરી. એક કલાક બાદ તેઓ મારી પાસે આવ્યા. તેમણે ડ્યુટી પ્લૅટૂનના જવાનો સાથે વાત કરી હતી જેના પરિણામે ૫૪ જવાનો રક્તદાન કરવા તૈયાર થયા. અમે તેમને હૉસ્પીટલમાં લઇ ગયા અને તેમાંના ત્રણ જવાનોનું લોહી બી નેગેટીવ નીકળ્યું. આ ત્રણ જવાનોમાં રવીંદ્રન પણ હતા. રજનીશનું સફળ અૉપરેશન થયું.
બીએસએફ જેવી સેનામાં જોડાયાનું મને અભિમાન અને ગૌરવ છે અને તે મને હંમેશા યાદ રહેશે.
અમદાવાદમાં એક વર્ષ સેવા બજાવ્યા બાદ મારી બદલી કાશ્મિરમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મિરની સરહદ પર આવેલ પૂંચ-રજૌરી સેકટરમાં થઇ. મારા જીવનમાં થયેલા અનેક coincidencesમાં એકનો વધારો થયો.મારી બદલી રજૌરીમાં આવેલ બટાલિયનમાં થઇ. આ મારી ૧૯૭૧ના યુદ્ધ સમયની જુની ૨૩મી બીએસએફ બટાલિયન હતી! બટાલિયનમાં હું સાંજે પહોંચ્યો. બીજા દિવસે કમાન્ડન્ટ દ્વારા આયોજીત “સૈનિક સમ્મેલન” હતું, જેમાં બૉર્ડર પર ગયેલી કંપનીઓને બાદ કરતાં બાકીની બધી કંપનીઓ હાજર હતી. મારા આશ્ચર્ય વચ્ચે જ્યારે હું ત્યાં પહોંચ્યો, હાજર રહેલા ૮૦૦ સૈનિકોએ તાળીઓના ગડગડાટથી મારૂં સ્વાગત કર્યું! બાકીના અફસરોને જાણ નહોતી કે આ મારી જુની બટાલિયન હતી. મારા નવા સીઓએ સુબેદાર મેજરને પૂછ્યું, “યે તાલીયાં કિસ ખુશીમેં બજ રહીં હૈં?”
“અપને પુરાને અફસરકો દેખ કર જવાન અપની ખુશીકા ઇઝહાર કર રહે હૈં.” બધા અફસર મારી તરફ જોવા લાગ્યા. બટાલિયનમાં આવું પહેલાં કદી થયું નહોતું!
સમ્મેલન બાદ કમાન્ડન્ટ સાથે મારો ઇંટરવ્યૂ થયો. તેમને જાણ થઇ કે મારો પરિવાર લંડનમાં હતો તેથી હું ‘અધિકૃત’ રીતે ‘સિંગલ અૉફિસર’ હતો. તે સમયે બટાલિયનના લગભગ બધા યુવાન અફસરો પોતાની નવપરિણીત પત્ની સાથે હેડક્વાર્ટરમાં રહેતા હોવાથી તેમને રાહત આપવા LC - એટલે લાઇન ઓફ કન્ટ્રોલ પર આવેલ ચોકીઓમાં લિખીતંગને જવાનું થયું. ડેપ્યુટી કમાંડંટ તરીકે મારી નીમણૂંક બે કંપનીઓના સેકટર કમાંડર તરીકે કરવામાં આવી. જે કંપનીમાં મારૂં કમાન્ડ હેડક્વાર્ટર હતું તે હતી મારી જુની ‘એફ’ - ફૉક્સ-ટ્રૉટ કંપની હતી!
રજૌરી ઐતિહાસીક સ્થળ છે. હિમાલયની પીર પંજાલ પર્વતમાળાની તળેટીએ આવેલ અમારા હેડક્વાર્ટરની નજીક એક પ્રખ્યાત મજાર છે: પંજ પીર. અહીંની મુસ્લિમ પ્રજા આ પાંચ પીરના સ્થાનક પર ધુપ બત્તી કરે. નામ ભલે ‘પંજ પીર’ હોય, પણ ત્યાં છ કબર છે. પાંચ પવિત્ર ભાઇઓ અને છઠી કબર તેમની બહેનની છે એવું ત્યાંના મુજાવરનું કહેવું છે. રજૌરીના હિંદુઓ આને પાંચ પાંડવ અને પાંચાલીનું સમાધિ સ્થાન માને છે. શિયાળામાં સંપૂર્ણ પણે હિમાચ્છાદિત થઇ જતા ‘પીર પંજાલ’ (photo) વિશે અહીંના હિંદુઓની આસ્થા છે કે જ્યારે પાંડવો ‘હેમાળે હાડ ગાળવા’ નીકળ્યા, ત્યારે તેમણે પીર પંજાલની પૂર્વ દિશામાં હિમાલય પર આરોહણ કર્યું. પીર પંજાલની કપરી ધાર પાર કરતી વખતે તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા હતા. તેમનાં શરીર રજૌરીની તળેટીએ લાવી તેમની સમાધિ બાંધવામાં આવી. પંજાલ એ ‘પાંચાલ’ શબ્દનો અપભ્રંશ છે એવું અહીંના હિંદુઓનું માનવું છે. આ માન્યતા કાશ્મીરની મોટા ભાગની પ્રજાએ ધર્માન્તરણ કર્યું તે પહેલાંથી ચાલતી આવી છે. પતિવ્રતા પાંચાલીના નામને અમર કરવા પહાડોનું નામ પીર પંજાલ રાખવામાં આવ્યું એવું કેટલાક લોકો માને છે. આની પાછળ જે સત્ય હોય તે શોધવાનું કામ પુરાતત્વવિદ્ જ કરી શકે!
રજૌરીની બીજી હકીકત: મોગલ બાદશાહ જહાંગીર જ્યારે કાશ્મિરથી દિલ્લી પાછો જઇ રહ્યો હતો ત્યારે રજૌરીની સીમમાં તેનું મૃત્યુ થયું. અફીણ અને શરાબમાં હંમેશા ડુબેલા બાદશાહના રાજ્યની સત્તાનો દોર નૂરજહાંના હાથમાં હતો. તેના મરણના સમાચાર સાંભળી દિલ્લીમાં સત્તા માટેની પડાપડીમાં નૂરજહાંના હાથમાંની સત્તા જતી ન રહે તે માટે જહાંગીરના મરણના સમાચાર તેણે ગુપ્ત રાખ્યા. રજૌરીમાં જ રાતો રાત બાદશાહના મૃત શરીરમાંથી vital organs કાઢી નાખવામાં આવ્યા. શરીરમાં મસાલા ભરી, તેના શબને હાથીની અંબાડીમાં આરામ કરે છે તેવી સ્થિતિમાં રખાયું અને પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો. જહાંગીરના શરીરમાંથી કઢાયેલા આંતરડા વિ. રજૌરીની નજીક તેના અંતિમ આરામગાહની નજીક દફનાવવામાં આવ્યા એવી આખ્યાયિકા છે..
રજૌરીમાં મારો સમય અનેક રોમહર્ષક ઘટનાઓમાં વીત્યો. મારૂં પોતાનું સેક્ટર હેડક્વાર્ટર ૭૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ શિખર હતું. અમારી દરેક પોસ્ટની સામે પાકિસ્તાની સેનાના ડીફેન્સનાં થાણાં હતા. અહીંની ભૌગોલિક રચના રસપ્રદ હતી. પાકિસ્તાનની લગભગ બધી ચોકીઓ અમારી બધી ચોકીઓ કરતાં થોડી ઊંચેની પહાડી પર હતી, તેથી તેઓ અમારી પોઝીશન પર ફાયર કરે તો ઘણો અસરકારક નીવડે. અમારા માટે અહીં વધારાની ‘અગવડ’ હતી સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકોની નીતિ (અમે તેને અ-નીતિ કહેતા!). બહુધા પાકિસ્તાન તરફથી તેમની ખાતરબરદાસ્ત સારી થતી હોય કે પછી અમેરીકાની સાથે પાકિસ્તાનની ‘પાક્કી’ દોસ્તી જગ જાહેર હોવાને કારણે જ્યારે પણ પાકિસ્તાની સૈનિકો તરફથી ‘સીઝ ફાયર અૅગ્રીમેન્ટ’નો ભંગ થાય તો પણ તેઓ આપણી વાત માનવાને બદલે ‘સામાવાળા’ની વાત પર વધુ વિશ્વાસ રાખતા. પાકિસ્તાની સૈનિકો વિના કારણ આપણી ચોકીઓ પર ગોળીબાર કરતા અને ભારત પર ખોટો આક્ષેપ લાગતો કે આપણે પહેલ કરી હતી જેથી તેઓ “સ્વબચાવ” માટે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. પરિણામે અમારા GOC (ડિવીઝન કમાંડર)નો હુકમ હતો કે આપણા તરફથી પાકિસ્તાનની ચોકીઓ પર ‘small arms’થી ફાયરીંગ કરવું હોય તો બટાલિયન કમાંડરની, અૉટોમેટીક હથિયાર માટે બ્રિગેડ કમાંડરની અને ભારે હથિયાર (મિડિયમ મશીનગન વિ.) થી જવાબી કાર્યવાહી કરવી હોય તો ડિવિઝનમાંથી રજા લેવી જરૂરી હતી. આમાં એક જ અપવાદ હતો કે પાકિસ્તાન તરફથી અસહ્ય અતિક્રમણ કે આક્રમણ થાય તો ઊપરી અધિકારીઓની રજા લીધા વગર સ્થાનિક કમાન્ડરને યોગ્ય પગલાં લેવાનો અધિકાર હતો.
પાકિસ્તાનના સૈનિકો વિના કોઇ ઉશ્કેરણીથી આપણા સૈનિકો પર ગોળીબાર કરતા હતા તેવું હું કહું તો મારી વાત પ્રચારાત્મક લાગે તે સ્વાભાવિક છે. પાકિસ્તાની ‘ધોંસ’નો મને પોતાને અનુભવ ન આવ્યો હોત તો હું પણ એવું કહેત કે તાળી હંમેશા બે હાથે વાગે છે.
Original Source: http://captnarendra.blogspot.com/
આખ્યાયિકાઓ (4)
આખ્યાયિકાઓ કહો કે દંતકથા, તે ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસનો અંશ એટલા માટે કે જુના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ વાતો હોય છે, પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. રાણકદેવીનું અપહરણ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણ લઇ જઇ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઇ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તુટી પડતા ગિરનારને “મા પડ, મારા આધાર, ચોસલાં કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે...” ગાયું હતું. પહાડ પરથી પડતા ખડકની થઇ આખ્યાયિકા, રાણકદે ઐતિહાસીક પાત્ર અને વંદનીય સતી હતા. તેમની ખાંભી સુરેન્દ્રનગર પાસે હજી ઉભી છે.કચ્છની આખ્યાયિકાઓ એવી જ છે - સત્યના અંશ સમાન.
ભુજની પાસે આવેલ માધાપર ગામ પાસેનું જખનું મંદિર સુપ્રસિદ્ધ છે. અહીંની આખ્યાયીકા છે કે હજારો વર્ષ પહેલાં અહીંની ધનિક અને શાંત પ્રજા પર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે ગોરા વાનના ‘તેજસ્વી’ યક્ષ ઘોડા પર બેસીને ત્યાં આવ્યા અને દુશ્મનોને મારી હઠાવ્યા. લડાઇમાં કેટલાક ‘યક્ષ’ મૃત્યુ પામ્યા અને સ્થાનિક પ્રજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટેકરી પર ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ રચી. ત્યાં મંદીર થયું અને દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ આપણને હજી જોવા મળશે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો આકાશમાંથી ઉતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા, અને કચ્છના બંદરેથી પોતાને વતન જવા નીકળ્યા હતા. ગામલોકોની ચીસો સાંભળી તેઓ તેમની મદદે ધસી ગયા હતા.
આવી જ વહેમભરી આખ્યાયિકા હતી સિંધમાં. એક ઉંચા, વિશાળ ટેકરામાં ભૂતોનો વાસ છે એમ મનાતું. સાંજ પછી ત્યાં કોઇ જતું નહિ. આ ટેકરાનું નામ જ પડી ગયું- મરેલાઓનો અડ્ડો. સિંધી ભાષામાં લોકો તેને “મૂંએજો-ડેરો” કહેતા. અંગ્રેજોએ તેનો જેવો ઉચ્ચાર કર્યો તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ તેનું ભારતીય-કરણ કર્યું, “મોહન જો દરો”. પુરાતત્વવિદ્ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઇ. સિંધુ-સરસ્વતિની ભારતીય સંસ્કૃતીની પ્રાચિનતાનો નક્કર પુરાવો મળ્યો. કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ ઇતિહાસ છે. ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-બાળકોની કરૂણ ઘટના રણમાં થઇ. આ ઇતિહાસ પાછળ અને તેની આસપાસ વણાઇ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે જીપ્સીને નાડાબેટની સામેના રણમાં થયેલ અનુભુતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4x4 મીટરની દેરી હતી તેનું આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી હજારો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષીત સહાય - આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે તો સામાન્ય લોકો તેને ચમત્કાર કહેશે. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું દિવ્ય અમૃત મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઇને મળે તો તેની ધન્યતામાં ચમત્કારની ચમક રહેલી છે એવું જીપ્સીનું માનવું છે.
અહીં જીપ્સીને નાડાબેટમાં થયેલા અનુભવનો ઉલ્લેખ કર્યો છે તો તેની સંક્ષીપ્ત વાત કહીશ.
બનાસકાંઠા- થર પારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. રસ્તામાં આવતા પાડણ નામના ગામમાં સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદીર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઇ અમે હંમેશા દર્શન કરવા રોકાઇએ.
એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઇગામ જઇએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં ઉતરી સીધી લાઇનમાં નાડાબેટ જઇએ તો કેવળ ત્રણ-ચાર કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ ખારાપાટમાં વાહન લઇ જવાની અમને સખ્ત મનાઇ હતી. મેં મારા ડ્રાઇવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઇ જઇએ.’ ડ્રાઇવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી.
અમે પચીસે’ક મીટર ગયા હઇશું ત્યાં આગલા પૈડાંની નીચેથી સફેદ મીઠાના બદલે કાળો કાદવ દેખાયો. ડ્રાઇવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં ખૂંપવા લાગી. તેણે 4x4નો ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં skid થવા લાગ્યા અને વ્હીલની નીચેથી ભીનો, કાળો કાદવ ઉડવા લાગ્યો. પોણા ભાગની આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઇ. ડ્રાઇવરે જીપ રીવર્સ કરી, તો પાછળનાં પૈડાં પણ સ્કીડ થયા અને એક જ જગ્યાએ ઘૂમતા રહ્યા. મીઠાના થરને દૂર કરી વ્હીલ તથા પાછલી એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઇ.
હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને હવે જીપ ખારાપાટમાં અટવાઇ ગઇ. અહીં મીઠાના થરની નીચે કળણ હતું. હવે તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ અૉફ ઇન્ક્વાયરી થાય અને મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઇવરે મદદ માટે બૂમો પાડી, પણ શિવ મંદીરમાં તે સમયે કોઇ નહોતું. આસપાસ કોઇ મકાન પણ નહોતાં. તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતીજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને કારણે લીલો છમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. અમને નાડાબેટનાં માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. ડ્રાઇવરે થોડી વારે ફરી જીપનું એન્જીન સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઉંચકીને ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતા હોય તેમ થોડા ઉપર આવ્યા અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડા ઉંચકાયા અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યા હતા ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ પંદર મિનીટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.
હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઇવરે ધ્રુજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો મૈંને કિયો? ઐસો લાગો જૈસો ગાડીકો કિસીને પીછેસે ઉઠાયો અૌર ખિંચ કે અઠે રણ-રે કિનારે લાયો!”
આ શું હતું? ચમત્કાર? આભાસ?
કોઇ કહેશે તમારી જીપ 4x4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઇ. પહેલાં અમે જીપને 4 x 4 માં જ ચલાવી હતી ત્યારે જીપનાં આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના કાદવમાં ખૂંપી ગયા હતા. આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય મારા માટે અગમ્ય છે.
રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
તે સમયે હું તેની વાતથી અસંમત ન થઇ શક્યો!
Original Source: http://captnarendra.blogspot.com/
આખ્યાયિકાઓ (૩)
ઇન્સ્પેક્શન બાદ બટાલિયનના કમાન્ડન્ટનો ચાર્જ અરવિંદ વૈષ્ણવ પાસે આવ્યો. તેમના અૉપરેશન્સ અૉફિસર તરીકે મારે બૉર્ડર પર અવારનવાર જવું પડતું. ચોકીઓ પર જવા માટે પહેલાં ખાવડા જવું પડે. ત્યાંથી થોડા આગળ જઇએ તો ખારા પાણીની ખાડીને પાર કરતાં શરુ થાય ખારો પાટ અને 'રણ'. આ રણભુમિ પણ વિચીત્ર છે. થરના રણમાં ડુંગરા જેવા રેતીના ઢુવા અહીં ન મળે. અહીં તો માઇલો સુધી સપાટ જમીન છે. જે ભાગ સૂર્યની ગરમીથી તપીને કઠણ બન્યો છે, તે શિયાળા અને ઉનાળા દરમિયાન ક્રિકેટના મેદાન જેવો સખત લાગે. એક વરસાદ પડે કે માટીના ઘડા બનાવવાની માટી જેવો નરમ થઇ જાય. જ્યાં 'બેટ' છે તે જમીન ગામતળ જેવી હોય છે. કુલપતિ મુન્શીએ ‘ગુજરાતનો નાથ’માં અમર કરેલ કચ્છના રણનું વર્ણન, સજ્જન તથા તેની સાંઢણી ‘પદમડી વહુ’ને થયેલા રેતીના તોફાનના અનુભવનું વર્ણન અહીં પ્રત્યક્ષ થાય! ગુજરાતના ઇતિહાસનો સાક્ષાત્કાર થશે તેની અપેક્ષાથી મન ઉત્સુકતાથી તરબોળ થઇ ગયું હતું. મુન્શીજી તો કદી રણમાં નહોતા ગયા, પણ તેમણે સાંઢણીસ્વાર સજ્જનના અનુભવનું જે વર્ણન કર્યું હતું તે મેં અક્ષરશ: જાતે અનુભવ્યું અને કુલપતિ પ્રત્યે આદરથી મસ્તક નમી ગયું. રણ વિસ્તારમાં બદલી થઇ ત્યારે મુન્શીજીએ જે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો તે જોઇને મન પ્રસન્ન થઇ ગયું. વિગો કોટ જોઇને હું આશ્ચર્યચકિત થઇ ગયો.આ કોઇ સામાન્ય જગ્યા નહોતી. પ્રથમ દર્શનમાં જ ખ્યાલ આવી ગયો કે અહીં મહંમદ ગઝનીના જમાનાના કે તેથી પણ જુની - ૪૦૦૦ વર્ષ પુરાણી સિંધુ ખીણની સંસ્કૃિતના હરપ્પા - મોહન જો ડેરોના સમકાલિન નાનકડા ગામના અવશેષ હતા. આખી ચોકી રાતી ઇંટના ભુક્કા પર ખડી કરવામાં આવી હતી! સ્કૉટીશ ઇજનેરોએ હરપ્પાના અવશેષોની ઇંટોનો રેલ્વે લાઇન બાંધવામાં ઉપયોગ કર્યો હતો; સૈનિકોએ અજાણતાં રેતીની નીચે દબાયેલા આ ગામની ઇંટો પર ચોકી બાંધી હતી.
ભૌગોલિક દૃષ્ટીએ વિગો કોટ એક જમાનામાં બેટ હતો એ તો સત્ય હકીકત છે. મારા માનવા પ્રમાણે ત્યાં હરપ્પાનું સકમાલિન ગામ હતું. સિંધુ-સરસ્વતિ સંસ્કૃતી માં maritime નગર-રાજ્ય હતા. મહાનદીઓના સંગમમાં આવેલો વિગોકોટનો ટાપુ કદાચ તે સમયના વ્યાપારીઓની વખાર કે રહેઠાણ માટે વપરાતો હશે. સિંધુના શહેરો તથા ગામડાં અજાણ્યા કારણોને લઇ ખાલી થયા. કચ્છની વાત કરીએ તો સમયના વહેણમાં દરિયો પશ્ચિમ તરફ ખસતો ગયો તથા અનેક સદીઓના વંટોળીયામાં ઉડી આવેલી ધુળની નીચે આ ગામ પણ દટાઇ ગયું હતું. આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આ જગ્યા વ્યુહાત્મક છે. અહીંથી માઇલો દૂર સુધી નિરીક્ષણ કરવા ઉપરાંત સીમા પારથી આવતા જતા અવૈધ માનવ સંચાર પર કાબુ કરી શકાય તેવું આ સ્થાન છે. છાડ બેટને પાકિસ્તાનને હવાલે કરવાના ભારત સરકારના નિર્ણય બાદ આ સ્થળનું મહત્વ એકદમ વધી ગયું હતું. આ પુરાતન સ્થાનની નીચે શું છે તેનો કોઇને ખ્યાલ નહોતો. પુરાતત્વવિદ્ અહીં સુધી પહોંચી શક્યા નહોતા. રણની સમતળ જમીનની વચ્ચે આવેલી આ ઉંચી જમીનમાં બંકર અને મોરચાઓ ખોદવા ઉપરાંત જવાનોને રહેવા માટે બૅરૅક પણ બાંધી શકાય તેવી આ જમીન હોવાથી ૧૯૪૮માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસે અહીં ચોકી સ્થાપી હતી. ત્યાર પછી તેનો હવાલો ગુજરાતની એસ.આર.પી.પાસે ગયો અને ૧૯૬૫ બાદ બીએસએફને તેનો ‘કબજો’ મળ્યો.
હું ચોકી પર ગયો ત્યારે ચોકીની ચારે તરફ તાંબાના સિક્કાના અવશેષ જેવી કાટ ચડેલી લીલા રંગની પથરી વેરાયેલી હતી. આજુબાજુ સફેદ કરચ વિખરાયેલી જોવા મળી. અમારા સૈનિકોના માનવા પ્રમાણે આ અનેક વર્ષ પહેલાં રણમાં મરેલા પ્રાણીઓનાં હાડકાંની કરચ હતી.
ચોકીમાં પ્રવેશ કરતાં ત્યાંના વાતાવરણમાં મને એક વિચિત્ર અનુભુતિ થઇ. જાણે અહીં એક અદૃશ્ય વસતિ હાજર હતી! મેં પુરાતત્વ-શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ ઇતિહાસનો વિદ્યાર્થી હતો. મહંમદ ગઝનવીની સોમનાથ પરની ૧૭ ચઢાઇઓમાં રણના આ માર્ગનો તેણે સુદ્ધાં ઉપયોગ કર્યો હતો. ગમે તે હોય, પણ આ કોઇ અતિ પુરાણી જગ્યાના અવશેષ છે એમાં કોઇ શંકા નહોતી.
૧૯૬૮માં બનાસકાંઠામાં મારી પ્રથમ બદલી થઇ હતી ત્યારે કચ્છ વિસ્તારની બીએસએફ બટાલિયનના અફસરો સાથે અમારી મુલાકાત હંમેશા થયા કરતી. તેમાંના એક હતા પુષ્કર-રાજસ્થાનના મધુસુદન પુરોહિત. ૧૯૬૯માં થયેલી એક મુલાકાતમાં તેમણે મને જે વાત કહી હતી તે હું ભુલ્યો નહોતો. મધુભાઇ જ્યારે આ ચોકીના કંપની કમાન્ડર હતા ત્યારે તેમના પિતાજી તેમની સાથે અહીં કેટલોક વખત રોકાયા હતા. સિનિયર પુરોહિત અત્યંત ધાર્મિક પ્રકૃતિના સ્પિરીચ્યુઆિલસ્ટ હતા. તેમણે મધુભાઇને કહ્યું,"અહીં સદીઓ જુના અનેક આત્માઓનો નિવાસ છે. હું તેમને પ્રત્યક્ષ જોઇ શકું છું. તેમની મુક્તિ માટે તમારે કંઇક કરવું જોઇશે. બને તો અહીં એકાદ યજ્ઞ કરાવજો.”
આ વાતને હું ભુલ્યો નહોતો. કદાચ આ કારણે મને પેલી ‘વિચીત્ર’ અનુભુતિ થઇ આવી હતી.
હું વિગો કોટ ગયો ત્યારે ચોકીના કંપની કમાન્ડર રજા પર હતા. તેમનો ચાર્જ ભારદ્વાજ નામના સબ-ઇન્સ્પેક્ટર પાસે હતો. ભારદ્વાજ લખનૌ યુનિવર્સિટીના ઇતિહાસના વિષય સાથે સ્નાતક હતા. તેમની સાથે બે દિવસ રોકાયા બાદ હેડક્વાર્ટર ભુજ પાછા ફરતાં પહેલાં મેં તેમને આ ચોકી વિશેની મારી ધારણાની બાબતમાં વાત કરી અને ચોકીના એક ખુણામાં ખોદકામ કરવાની સૂચના આપી. ખોદકામમાંથી જે પુરાતન અવશેષ મળે તો મને ખબર કરવાનું જણાવ્યું.
બીજા દિવસની મધરાતના સમયે મને ભારદ્વાજનો ટેલીફોન આવ્યો.
“સર, કસમયે ફોન કરું છું તો માફ કરશો. આજ સાંજે અાપના હુકમ મુજબ ખોદકામ કરાવ્યું હતું, પણ થોડી વાર પહેલાં ચોકીમાં થોડી ગરબડ થઇ ગઇ, તેનો રિપોર્ટ આપું છું. ચિંતા કરવા જેવું નથી, કારણ કે હવે બધું થાળે પડી ગયું છે.”
મધરાત બાદ ચોકીમાં ‘ગરબડ’ થયાની વાત સાંભળી હું ચોંકી ગયો. ચોકીમાં કોઇ અકસ્માત અથવા સીમા પર કોઇ બનાવ થયા વગર આટલી રાત્રે ભારદ્વાજ ફોન ન કરે. ફોન પર તેમણે મને જે વિગત આપી તેને આ યુગમાં માની ન શકાય, પણ અહીં તો મને જે ‘રીપોર્ટ’ મળ્યો તેની ટૂંક નોંધ આપું છું.
ભારદ્વાજે ખોદકામનું કામ હવાલદાર પાંડેની નિગરાણી નીચે ચાર જવાનોને સોંપ્યું હતું. ટુકડીને સૂચના આપવામાં આવી હતી કે તેમણે દોઢ મીટર પહોળો, બે મીટર લાંબો અને એટલો જ ઉંડો ટ્રેન્ચના આકારનો ખાડો ખોદવો. બે મીટરની ઉંડાઇ પર તેમને પ્રાણીના આકારનું માટીનું (terra cotta) રમકડું મળ્યું. હરપ્પાના અવશેષોની છબીઓને મળતું આ રમકડું હતું. સાથે થોડા માટીના વાસણના ટુકડા જેવી વસ્તુઓ પણ મળી. થોડું વધુ ખોદકામ કરતાં તેમને જર્જરીત થયેલા બે માનવ અસ્થિ-કંકાલના અવશેષ મળ્યા. પાંડેએ તરત કામ રોકાવ્યું અને ભારદ્વાજને ખબર કરી. ભારદ્વાજે ત્યાં જઇને આ કબર/ખાડો પૂરાવી દીધો.
ચોકીમાં જવાનો ડ્યુટીના સમય બાદ નિયત સ્થળે આરામ કરે. મધરાતે પાન્ડેની ટુકડીના જવાનોએ પગ પછડાવાનો અને કણસવાનો અવાજ સાંભળ્યો અને તેઓ સફાળા જાગી ગયા. ફાનસની વાટ ઉંચી કરતાં જણાયું કે પાન્ડે ફાટી આંખે છત તરફ તાકી રહ્યા હતા. તેમના ગળામાંથી અસ્ફૂટ અને ઘોઘરા અવાજે કણસવાનો અવાજ આવતો હતો. બન્ને હાથ પોતાના ગળા પાસે - જાણે તેમનું ગળું દબાવતા કોઇ અદૃશ્ય હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા હોય. બેહોશીમાં તેમના પગ જમીન પર પછાડતા હતા. આ જોઇ જવાનોએ ભારદ્વાજને બોલાવ્યા.
મિલીટરીના દરેક થાણામાં એક પ્રાર્થનાસ્થાન હોય છે. ત્યાં પૂજા કરવા માટે સાત્વિક પ્રકૃતિના એક જવાનની ડ્યુટી લગાવવામાં આવે છે. આ ચોકીમાં પણ એક જવાનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ જવાન પાન્ડેની નજીક ગયો, અગરબત્તી સળગાવી અને પ્રાર્થના શરુ કરી. બીજા જવાનો પણ તેની સાથે જોડાયા. થોડી વારે પાન્ડે ભાનમાં આવ્યા. ગભરાટને કારણે તેમનું શરીર ધ્રુજતું હતું.
“શું વાત કરું, સાહેબ? વહેલી સવારની સેન્ટ્રી ડ્યુટી હતી તેથી જમીને વહેલો સૂઇ ગયો. ઘેરી નિંદરમાં હતો પણ અચાનક ઉંઘ ઉડી ગઇ. મારી પાસે બે સ્ત્રીઓ આવી - એક વૃદ્ધ અને એક યુવાન. યુવાન સ્ત્રી અત્યંત ગુસ્સામાં હતી. મારો ઉધડો લેતી હોય તેમ ઉંચા અવાજે બોલવા લાગી અને મને મારી છાતી પર ચઢી બેઠી. તે મારું ગળું દબાવતી ગઇ અને વિચીત્ર ભાષામાં કંઇક કહેતી હતી. તેની પાછળ વૃદ્ધા શાંતિથી ઉભી હતી. હું તો કંઇ પણ કરવા કે બોલવાની શક્તિ ખોઇ બેઠો હતો. પુજારી આવ્યો, તેણે ધુપસળી પેટાવી અને પ્રાર્થના કરી ત્યારે તેઓ અહીંથી ગઇ. સાહેબ, આ જગ્યામાં ‘રૂહ’નો (આત્માઓનો) વાસ છે. મહેરબાની કરી મને બીજી ચોકી પર મોકલી આપો.”
ત્રણેક દિવસે અમારૂં ટૅંકર વિગોકોટને પાણી દઇ પાછો ફર્યો ત્યારે તેમાં બેસી હવાલદાર પાંડે કબરમાંથી મળેલી વસ્તુઓ લઇ ભુજ આવ્યા. તેમનો ડર હજી સુધી તેમના ચહેરા પર દેખાતો હતો. તેમણે આણેલ માટીનું રમકડું બટાલિયનના ક્વાર્ટરમાસ્ટર (મિલીટરીના ભંડારના સ્ટોરકીપર અધિકારી)ને સોંપી વસ્તુઓ ભુજના મ્યુિઝયમમાં મોકલવાનો હુકમ કર્યો.
તે વખતે મને લાગ્યું ખોદકામ કરતી વખતે નીકળેલા હાડપીંજર જોઇ પાન્ડે કદાચ વિકલ થઇ ગયા હતા. તેમને થયેલો અનુભવ દુ:સ્વપ્ન સિવાય બીજું શું હોઇ શકે? પણ ચાર વર્ષ બાદ મને થયેલા અનુભવની વાત કરીશ તો આપને પણ કદાચ નવાઇ લાગશે.
Original Source: http://captnarendra.blogspot.com/
સુરત ગેંગરેપના ઉઝરડા

સુરત ગેંગરેપમાંથી મનમાં કેટલાક સવાલો ઉદ્દભવે છે, એના જવાબો વિશે વિચારતા મન અકળાઈ ઉઠે છે.
વહેલી સવારે પાંચ વાગ્યાના ટ્યુશન કલાસમાં દિકરીને મોકલતા માવતરને એની સુરક્ષાની ચિંતા કેમ ન થઈ? મોડર્ન જમાનામાં જુનવાણી વિચારો ન શોભે એમ કહીને નિરાંતવા થઈ જતા છોકરીના માવતરને સ્વાભાવિકપણે આવા દિકરી ઉપર બળાત્કારના દુષ્કૃત્યની કલ્પનાય નહી હોય. પણ આવા બેફિકરા અને સમાન હક્કોમાં માનતા માવતરોએ એે કડવું સત્ય પચાવવું જ પડશે કે નર માદાને સમકક્ષ ગણવાની ચેષ્ટામાં અંતે ભોગવવાનું માદાના (Read more...)
Original Source: http://himmatkataria.blogspot.com/
સુરત ગેંગરેપના ઉઝરડા

સુરત ગેંગરેપમાંથી મનમાં કેટલાક સવાલો ઉદ્દભવે છે, એના જવાબો વિશે વિચારતા મન અકળાઈ ઉઠે છે.
વહેલી સવારે પાંચ વાગ્યાના ટ્યુશન કલાસમાં દિકરીને મોકલતા માવતરને એની સુરક્ષાની ચિંતા કેમ ન થઈ? મોડર્ન જમાનામાં જુનવાણી વિચારો ન શોભે એમ કહીને નિરાંતવા થઈ જતા છોકરીના માવતરને સ્વાભાવિકપણે આવા દિકરી ઉપર બળાત્કારના દુષ્કૃત્યની કલ્પનાય નહી હોય. પણ આવા બેફિકરા અને સમાન હક્કોમાં માનતા માવતરોએ એે કડવું સત્ય પચાવવું જ પડશે કે નર માદાને સમકક્ષ ગણવાની ચેષ્ટામાં અંતે ભોગવવાનું માદાના (Read more...)
Original Source: http://himmatkataria.blogspot.com/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)






