Browsing all articles from September, 2009
Sep
30
Comments Off

લોકોને મરદ નેતા ગમે છે: મોદીએ શસ્ત્રપૂજા કરી પછીની વાત

દશેરાના દિવસે શસ્ત્રપૂજાનો રિવાજ ગુજરાતમાં સામાન્ય રીતે ક્ષત્રિયો પૂરતો સિમિત થઈ ગયો છે. પરંતુ આપણા નરેન્દ્રભાઈ તો મોદી હોવા છતા દેશ-ગુજરાતના રાજા. એટલે ક્ષત્રિય ધર્મ નિભાવવા દશેરાએ શસ્ત્રપૂજન કર્યું અને તે પહેલા તેમના સ્ટાફે ફોટોગ્રાફરોને પણ તેડાવી લીધા. નરેન્દ્રભાઈ નવરાત્રિમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહે, પણ ગરબા ન ગાય. આમ તો તેમને ગરબા ગાવાનો આગ્રહ પણ કોણ કરે? બહુ બહુ તો એકાદ વખત કોઈ હિંમત
Sep
30
Comments Off

રાષ્ટ્રપ્રમુખની ગુજરાત મુલાકાત – સરદાર હોલ વગેરે – કિ ફરક પેન્દા

ભારતના રાષ્ટ્રપ્રમુખ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. એરફોર્સના પ્લેન અને હેલિકોપ્ટર દ્વારા તેઓ સોમનાથ, દ્વારિકા અને પોરબંદરના કિર્તી મંદિરની જાત્રા કરશે, સાસણગીરના સિંહો જોશે, આણંદની અમૂલનગરીની મુલાકાત લેશે... અને અમદાવાદમાં સરદાર પટેલના સ્મારકમાં દિનશા પટેલે બનાવેલા હોલનું ઉદઘાટન કરશે. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારકના પ્રાંગણમાં બનાવેલા હોલ બાબતે દિનશા પટેલ એટલા ઉત્સાહિત છે કે એક ગુજરાતી મેગેઝીનમાં
Sep
30

Enemy at the gates (…and India at rest)

સંપાદકનો પત્ર
'સફારી'
October, 2009

ભારતના અરુણાચલ પ્રદેશમાં ચીની લશ્કરની ગેરકાયદે ઘૂસણખોરીના સમાચાર હમણાં ફરી અખબારોમાં ચમક્યા. રાબેતા મુજબ કેટલાક દિવસ ચીન સામે આક્રોશનો ઉહાપોહ મચ્યો અને રાબેતા મુજબ જ તેનો ઉભરો થોડા દિવસમાં શમી ગયો. મૅક્મેહોન સરહદની સતત અવગણના કરતા રહેલા ચીનનો ભારતના સરહદી પ્રદેશોમાં પેસારો વર્ષોથી ચાલુ છે, માટે ખરૂં જોતાં તેની ઘૂસણખોરીને ‘સમાચાર’નું લેબલ મારવા જેવું નથી. દા.ત. ૨૦૦૭ ની સાલમાં ચીની લશ્કરે કુલ ૭૭૮ વખત અને ૨૦૦૮ માં બધું મળી ૨,૨૮૫ વખત સરહદભંગ કર્યો હતો. અરૂણાચલ પ્રદેશથી માંડીને કાશ્મીર સુધીની સરહદે ચીની લશ્કરની ચહલપહલ જોતાં ઘૂસણખોરીનો ૨૦૦૯ ના વર્ષનો આંકડો સ્વાભાવિક રીતે હજી મોટો હશે. ટૂંકમાં, ભારતના સરહદી વિસ્તારોમાં ચીન ખુલ્લેઆમ પોતાનાં લશ્કરી મથકો સ્થાપે, રેડાર મથકો ઊભાં કરે, સરહદ સુધી લંબાતી પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને તેના સૈનિકો પેટ્રોલિંગના નામે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવે એમાં હવે કશું અસાધારણ કહી શકાય એવું નથી. કમ સે કમ ભારતની કેન્દ્ર સરકાર એવું માનતી હોય એમ લાગે છે, એટલે સરહદ પર જાણે કશી નવાજૂની બની રહી ન હોય તેમ વર્ષોથી નિદ્રાધિન છે.

આર્થિક મોરચે આજે કાઠું કાઢી રહેલા ચીને ભલે મૂડીવાદ અપનાવ્યો છે, પરંતુ એ દેશનો ઇતિહાસ તપાસો તો ખ્યાલ આવે કે તેના શાસકોની નીતિ હંમેશાં વિસ્તારવાદી રહી છે. ઇ.સ. ૧૬૬૪ માં ચિંગ વંશના શહેનશાહ ચીયેન લુંગે ભારતના નેફાનો (આજના અરુણાચલ પ્રદેશનો) તેમજ લદ્દાખનો પ્રદેશ પોતાના વિશાળ સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો. વર્ષો બાદ બ્રિટન, જાપાન, અમેરિકા તેમજ રશિયા સામેના વિવિધ યુદ્ધોમાં ચીને પોતાનો કેટલોક પ્રદેશ ગુમાવવાનો વખત આવ્યો, જેમાં નેફા તેમજ લદ્દાખનોય સમાવેશ થતો હતો. આ પ્રદેશો ફરી કબજે મેળવવા માટે વખત જતાં ચીનના જે તે આગેવાનોએ પ્રયાસો આદર્યા. ૧૯૫૦ માં તિબેટ પર હુમલો કરી એ દેશને હંમેશ માટે ચીનમાં ભેળવી દેવામાં આવ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ ના યુદ્ધમાં ચીની વડા પ્રધાન ચાઉ-એન-લાઇએ ભારતનો કુલ ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીની છાબડીમાં ખેરવી લીધો, તો આજે ચીની ડ્રેગનનો ડોળો આપણા અરુણાચલ પ્રદેશ પર તેમજ લદ્દાખ પર મંડાયો છે. મોકો મળ્યે એ બેય પ્રદેશોને તે ગળી જવા માગે છે.

ફૂંફાડા મારી રહેલા ચીની ડ્રેગનને નાથવા માટે ભારતની લશ્કરી તૈયારી કેવી છે ? કેટલીક વાસ્તવિકતા તપાસવા જેવી છે--આવતી કાલે માનો કે અરૂણાચલ પ્રદેશની સરહદે ચીન સામે યુદ્ધ ફાટી નીકળ્યું તો ત્યાં લશ્કરી પુરવઠો, સૈન્યો, શસ્ત્રો વગેરે પહોંચાડવા માટે રોડરસ્તાનું પાકું નેટવર્ક ભારત પાસે નથી. સીમાડા સુધી પહોંચવાનો પાકો રસ્તો એક જ છે, જેના પર ચીની લશ્કર રખે અંકૂશ જમાવી દે તો ભારતની સપ્લાય લાઇન કપાઇ સમજો. રસ્તાનું નેટવર્ક રચવા માટે કેન્દ્ર સરકારે રૂ.૭,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ ઘડી કાઢ્યો છે, પરંતુ એ પ્રોજેક્ટ પાર પડે ત્યારની વાત ત્યારે ! બીજી તરફ ચીને ભારતને સ્પર્શતી સરહદ સુધી પાકી સડકોનું તેમજ રેલ્વે લાઇનોનું નેટવર્ક ક્યારનું ઊભું કરી દીધું છે. ભારતના હવાઇ દળે આસામમાં તેઝપુર ખાતે કેટલાંક સુખોઇ-૩૦ વિમાનો તૈનાત કર્યાં છે. અલબત્ત, આપણા એર ફોર્સમાં અત્યારે લડાયક વિમાનોની ભારે અછત છે. નવાં ૧૨૬ લડાયક વિમાનો ખરીદવાનો પ્લાન સંરક્ષણ મંત્રાલયે ક્યારનો ઘડી નાખ્યો છે, પરંતુ વિમાનની પસંદગીનુંય હજી તો મૂહુર્ત આવ્યું નથી. ખરીદી તો બહુ દૂરની વાત છે. ચીનના હવાઇ દળની તાકાત જોતાં મુઠ્ઠીભર વિમાનો વડે તેના ઝંઝાવાતી આક્રમણને ખાળવું ભારત માટે પડકારરૂપ બને એ સ્વાભાવિક છે.

ભારત અને ચીન વચ્ચે બ્રિટને આંકેલી મૅક્મેહોન સરહદ રેખા ચીનને મંજૂર નથીઅને એ વાતનો તેના રાજકીય આગેવાનો ઠાવકાઇથી અણસાર આપતા આવ્યા છે. અરુણાચલ પ્રદેશનો તવાંગથી શરૂ કરી લોહિત સુધીનો પ્રદેશ તેમજ લદ્દાખનો આખો પ્રદેશ ચીનને ખૂંચવી લેવો છે. (તાઇવાનનો વારો પણ વહેલોમોડો આવવાનો છે). ચીનનું ઘૂસપેઠિયું વલણ જોતાં તેમજ તેની વિસ્તારવાદી નીતિ જોતાં આપણી સરકારે વ્યૂહાત્મક તથા રાજકીય પગલાં તાત્કાલિક લેવાની જરૂર છે, જેથી ૧૯૬૨ માં બન્યું તેનું વન્સ મૉર ભારતના પક્ષે થાય નહિ. પરંતુ અફસોસની વાત છે કે ચીની ડ્રેગનના આગમનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભારતીય સિંહ આરામ ફરમાવી રહ્યો છે.
--------

ચીની સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરીના મુદ્દે કેટલાક દિવસ પહેલાં ભારતીય ખુશ્કીદળના વડા જનરલ દીપક કપૂરે જાહેરમાં આપેલું નિવેદન--
"There has not been any more incursions or transgressions. As compared to last year, they are almost at the same level. So there is no cause for worry or concern."
Sep
29

LOST(TV show)


થ્રીલર,સસ્પેન્સ,ઈમોશનલ,સુપરનેચરલ,સાયન્સ ફિક્શનનું સુપર્બ કોમ્બીનેશન...દરેક રસને લોસ્ટમાં નીચોવી લેવાયો છે.ડમ્બલડોર જેવું રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતો જોન લોક હોય કે પછી નિર્દોષ ક્લેર...આંખોની સાથે હોઠોથી પણ અભિનય કરી જાણતી જૂલીયેન હોય કે ગ્રે શેડનો ખરો અર્થ સમજાવતી એક્ટીંગ કરતો બેન...દરેકની પોતાની આગવી અદા છે...આગવી વાર્તા છે...આગવો ભૂતકાળ અને વર્તમાન છે.ક્લેરનું કિડનેપ થાય ત્યારે ઈથન પર ખરેખર
Sep
29
Comments Off

કિસ્સા કુર્સી કા…


હા, કિસ્સો ખુરશીની વાતનો છે અને સાથેસાથે ખુરશીની તાકાતનો અહેસાસ પણ કરાવે છે. સત્તાધારી માણસો લોકશાહીમાં પણ પોતાની તાકાતનો દૂરપયોગ કરી અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું ગળું દબાવી દે છે તેનો પુરાવો આ કિસ્સો છે. વાત એમ છે કે, વર્ષ 1975માં એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું કિસ્સા કુર્સી કા. રાજકીય વ્યંગ્ય રજૂ કરતી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા અમૃત નાહટાએ કર્યું હતું અને ફિલ્મનું મુખ્ય પાત્ર સ્વ. ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનને મળતું આવતું હતું. વર્ષ 1975માં આ ફિલ્મ રજૂ થવાની હતી, પણ તેની પહેલાં વાજપેયીજીએ જેમને મા દુર્ગા સાથે સરખાવ્યાં હતા તેવા ઇન્દિરા અમ્માએ કટોકટી લાદી દીધી હતી અને સરકારના દબાણ હેઠળ સેન્સર બોર્ડે ફિલ્મ રજૂ થવાની લીલી ઝંડી ન આપી.

સેન્સર બોર્ડના નિર્ણયને નાહટાએ અદાલતમાં પડકાર્યો. અદાલતે ચુકાદો આપ્યો કે ફિલ્મ રજૂ થાય તે પહેલાં ન્યાયાધીશોનો દેખાડવી. પણ બન્યું એવું કે અદાલત સામે ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ તેની મૂળ પ્રિન્ટ ગાયબ થઈ ગઈ. કહેવાય છે કે, સંજય ગાંધીના ઇશારે તત્કાલિન સૂચના અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લએ મુંબઈથી ફિલ્મનો પ્રિન્ટ્સ જપ્ત કરાવી દિલ્હીની પાસે ગુડગાંવ સ્થિત મારુતિ ફેક્ટરીના સંકુલમાં રખાવી દીધી. પાછળથી બધી પ્રિન્ટ નષ્ટ કરાવી દીધી. તે પછી નાહટાનું શું થયું?

વર્ષ 1977ની ચૂંટણીમાં અમૃત નાહટા જનતા પક્ષની ટિકિટ પરથી સાંસદ બન્યા. તેમણે સંસદમાં માંગણી કરી કે, તેમની ફિલ્મની પ્રિન્ટ તેમને પાછી મળે. તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સૂચના-પ્રચારણા મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ આ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો. સીબીઆઈના સંયુક્ત સચિવ નિર્મળકુમાર સિંહે આ કેસની તપાસ કરી અને સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. કેસની સુનાવણી થઈ અને દિલ્હીની એક સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દંડ કરી સજા સંભળાવી. ગાંધી અને શુક્લએ સેશન્સ કોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો. તે સમયે મોરારાજી દેસાઈએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ચૌધરી ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી જ વડાપ્રધાનની ગાદી પર સવાર થઈ ગયા હતા. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ફિલ્મને લઇને નાહટા પોતે જ પોતાના આરોપોમાંથી ફરી ગયા. છેવટે સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવે સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લને છોડી દીધા. પણ કિસ્સા કુર્સીના મામલાનું મહત્વ શું છે?

દેશમાં અદાલતે સજા ફટકાર્યા પછી પણ આરોપીઓને ચૂંટણી લડવાની પહેલી વખત મંજૂરી મળી હતી અને બંને ઉમેદવાર જીતી પણ ગયા. વર્ષ 1977માં અમૃત નાહટાએ ફરી તે જ સ્ક્રિપ્ટ પર કિસ્સા કુર્સી નામે જ ફિલ્મ બનાવી, પણ તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ.

Sep
29
Comments Off

હકનું બીજ ફરજ છે


હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડીને હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાના નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. જે પ્રજાએ હકનું સેવન કર્યું છે તે પ્રગતિ કરી શકી નથી. તે જ પ્રજા વિકાસ સાધી શકી છે જેણે ફરજ અદા કરી છે. ફરજના પાલનમાંથી તેમને હક મળી રહ્યા. હકની આશા ન રાખનાર હક મેળવે છે અને હકની વાત કરનાર પડે છે એ ન્યાય છે.

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે.

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન જાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જ પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે.

સેન્ટર પોઇન્ટઃ પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિની ફરજના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય હોતો નથી. અધિકાર આવશ્યક હોય ત્યારે તેની મેળે દોડી આવે છે.
Sep
29
Comments Off

અડવાણીએ રાજકીય સંન્યાસની વાત સૌપ્રથમ કચ્છના સિંધીઓને કહી હતી

અડવાણીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની વાત કરી છે એની હેડલાઈનો વાંચી?દરઅસલ ભાજપ લોકસભાની ચૂંટણી હાર્યું પછી તુરંત જ અડવાણીએ આનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ તેમણે સૌરવ ગાંગુલીની માફક હારેલા કેપ્ટનનો ડાઘ લઈને નિવૃત્ત નહતુ થવું તેથી નક્કી કર્યું હતું કે ડિસેમ્બરમાં જ્યારે નવા પક્ષ પ્રમુખની નિયુક્તિ થાય ત્યારે અચાનક જ રાજીનામુ ધરી દેવું અને રાજકીય સંન્યાસની ઘોષણા કરવી.અડવાણીએ ચૂંટણી પછી તેમને મળવા ગયેલા
Sep
28

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી

દોઢ-બે મહિનાથી ‘સફારી’ની ઓફિસમાં રોજેરોજ રહેતું ભારે ઉચાટનું વાતાવરણ આખરે રવિવારે પૂરૂં થયું.

‘આસાન અંગ્રેજી’નું પુસ્તક, દિવાળીનો વધુ પાનાંવાળો અંક તથા અંગ્રેજીનો નિયમિત અંક તૈયાર કરવા ઉપરાંત નવેમ્બર માસના બે અંકો એડવાન્સમાં તૈયાર કરી દેવાનો બહુ મોટો તકાદો ‘સફારી’ની ટીમ સમક્ષ હતો. ઘડિયાળ સામે જોયા વિના આખી ટીમે દોઢ મહિનો જે મહેનત કરી એ બદલ તેને બિરદાવી રહી.

બે મહિનાથી તંગ રહેલું ઓફિસનું વાતાવરણ હળવુંફૂલ બનાવવાના આશયે આજે ‘સફારી’ના કાર્યાલયમાં એક નાનકડું ગેટ-ટુ-ગેધર રાખ્યું છે. વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ વગેરે જેવા વિષયો સાથે ટીમ ‘સફારી’નો કાયમી નાતો છે, પણ આજે એમાંનો એકેય વિષય ચર્ચાવાનો નથી. દશેરાનો પર્વ ફાફડા-જલેબીનું ભક્ષણ કરીને ‘ઉજવવાના’ રિવાજને કાયદેસર રીતે આજે ટીમ ‘સફારી’ અનુસરવાની છે.

અલબત્ત, સહેજ જુદી રીતે--એટલે કે વિજ્ઞાનથી થોડુંક અંતર રાખીને ! દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે મંગાવવામાં આવતા ફાફડા સામાન્ય હોતા નથી, પણ ‘અવૈજ્ઞાનિક’ પદ્ધતિએ બનાવેલા હોય છે. અર્થાત સોડિયમ કાર્બોનેટ/Na2CO3 નું ‘અપાચ્ય’ સાયન્સ ફાફડામાં ભેળવેલું હોતું નથી. ઓફિસનું વાતાવરણ તથા ટીમ ‘સફારી’નું પેટ હળવું રહે એ માટે આજે નો સાયન્સ ડે!

તા.ક. કામના ભારે દબાણને કારણે સર્જાયેલા લાંબા અંતરાલ પછી બ્લોગ આવતી કાલથી રાબેતા મુજબ.
Sep
26
Comments Off

જીવતી માનું શ્રાદ્ધ

  આજની આ પોસ્ટ માનનીય ગોવિંદ મારુના બ્લોગ પરથી અક્ષરસ: ઉઠાંતરી કરી છે અને એમણે ગુજરાત મિત્રની દિનેશ પાંચાલની 'જીવન સરીતના તીરે’ કોલમમાંથી. પણ મને ખુબ ગમેલ આ લેખને ગમતાનો ગુલાલ કરવાનું રોકી શકતો નથી.
હોસ્ટેલના મિત્ર નીખીલ પટેલનો પણ આભાર જેમણે મને આ ફોર્વર્ડેડ ઈમેઈલ મોકલ્યો અને હું એના મૂળ સુધી ગયો. (ફોર્વર્ડેડ ઈમેઈલમાં સામાન્ય રીતે મૂળ લેખકનું નામ હોતું નથી )..

... તો માણો, સમજો અને જીવનમાં ઉતારવવા કોશિશ કરો !!

----- 

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’

એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીઝ છે; પણ એમને સોશીયો બહુ ભાવે છે. હું એમને માટે સોશીયો હંમેશાં ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્માં જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !’

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ–દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું; પણ યાદ રહે ગાય – કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

હમણાં જાણીતા શાયર દેવદાસ – ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યું- જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !’

વારંવાર એક વાત સમજાય છે. ઘરડાં માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે ! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જો કે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!

અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યાં… સાત જનમ તેના બુરા ઠર્યા…!

ધુંપછાંવ

દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યા છે. તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય !’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસ મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’,દૈનીક, સુરતની તા.6 સપ્ટેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,

સી-12, મજુર મહાજન સોસાયટી,

ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445

ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508

Sep
25
Comments Off

મારું ભુલકણાપણું

૧)
હમણા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જવાનું હતું. અપોઈન્ટમેન્ટ લીધી તો અઠવાડિયા પછીની મળી. એક ચબરખીમાં તારીખ અને સમય પણ લખી આપ્યા. હવે અપોઈન્ટમેન્ટના દિવસે સવારના આઠ વાગ્યામાં વહેલા ઉઠી લેબોરેટરીએ પહોંચી ગયો. રીસેપ્શન સંભાળતા સ્પેનીશ બહેને કોમ્પ્યુટરમાં દિવસભરની અપોઈન્ટમેન્ટના લીસ્ટમાં ખાંખાખોળા કર્યા પણ મારું નામ મળ્યું નહિ એટલે એમણે મારી પાસે પેલી ચબરખી માંગી અને મેં આપી. તો મને કહે તમારી અપોઈન્ટમેન્ટ તો આવતી કાલની છે! મને તો એવું જ હતું કે આજે જ ૧૦મી સપ્ટેમ્બર છે! હશે તો કાલે આવીશ બીજું શું!

૨)
ઘણા વર્ષો પહેલાં અમદાવાદ ટ્રેન સ્ટેશને બેગ વગેરે લઇ સુરત કે મુંબઈ જવા પહોંચ્યો. ટીકીટ અગાઉથી ખરીદી રાખેલી. ઘણી રાહ જોઈ ટ્રેનનો સમય પણ જતો રહ્યો. પછી આવતી-જતી ટ્રેનઓનું સમય-પત્ર જોયું તો ખબર પડી કે આજના દિવસે તો આ ટ્રેન ઉપડતી જ નથી. ટીકીટ કાઢી તો તારીખ બરાબર જણાઈ પણ પછી સમજાયું કે હું એક દિવસ વહેલા પધાર્યો હતો. મતલબ મને એમ જ કે આજે આ જ તારીખ છે! પણ વાર બરાબર યાદ હતો જો કે! ફરીથી રીક્ષાના પચાસેક રૂપિયા ખર્ચી ઘેર પાછો ફર્યો.

૩)
૨૩-૨૪ વરસો પહેલાં ( હા, આ પ્રોબ્લેમ પેલ્લેથી જ છે !) પાંચમાં ધોરણમાં ગામની શાળામાં ભણું. સોમથી શુક્ર ૧૧થી ૫નો સમય અને શનિવારે ૮થી ૧૧. એક શનિવારે હું ૧૧ વાગ્યે સ્કુલે ગયો. જેવો દરવાજામાં દાખલા થયો કતારબદ્ધ મારા જેવા બાળકોને બહાર આવતા દીઠા! આ કિસ્સામાં વાર થોડો આડો અવળો થઇ ગયો હશે!
Sep
21
Comments Off

“આયો ગુજરાતી ગોરખાલી!” – શેષ

એક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો.
5/9 ગોરખા રાઇફલ્સના કમાન્ડીંગ અફસરનો ભાર તેમને સોંપવામાં આવ્યો તે પહેલાં અનેક કારણોસર આ બટાલિયનની હાલત અને જવાનોનું મનોબળ નષ્ટપ્રાય: થઇ ગયા હતા. બટાલિયનનો ચાર્જ લેતાં પહેલાં તેઓ બ્રિગેડ કમાન્ડરને મળ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાલત એટલી ગંભીર હતી કે બટાલિયનને વિખેરી નાખવાનો - disband કરવાનો- નિર્ણય લેવામાં આવ્યો હતો. બટાલિયન - તથા કર્નલ ભટ્ટ માટે આ છેલ્લી તક હતી કે બટાલિયનનું આમુલાગ્ર પરિવર્તન કરી તેને યુદ્ધ માટે સક્ષમ (battle-worthy) બનાવવામાં આવે.
આપણી સેનામાં કહેવત છે: There are good officers and bad officers, but never a bad soldier. કર્નલ ભટ્ટે ચાર્જ લીધાને એક મહિનો પણ નહોતો થયો કે તેમના ડીવીઝનલ કમાન્ડર બટાલિયનનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા. પહેલા જ દિવસે જનરલ સાહેબે હુકમ સંભળાવ્યો: ૬૦ દિવસમાં બટાલિયન યુદ્ધ માટે સક્ષમ પુરવાર ન થાય તો તેમાંના એકેએક જવાનને ઘર ભેગા કરી દેવામાં આવશે અને 5/9 GRનું નામોનિશાન નહિ રહે.
સંરક્ષણની દૃષ્ટીએ ભારત માટે સમગ્ર કાશ્મીરનો પ્રદેશ સંવેદનશીલ છે. તેમાંના પૂંચ-રજૌરી, ઉરી, તંગધાર, કારગિલ અને બાંદીપોરા જેવા વિસ્તાર અત્યંત ભયાનક ગણાય છે. (આમાંના બે વિસ્તાર - રજૌરી અને તંગધારમાં ‘જીપ્સી’ સેક્ટર કમાંડર હતો અને લગભગ દરરોજ પાડોશીઓની ગોળીઓનો અનુભવ કર્યો હોવાથી આ વિસ્તારોની ભયાનકતા વિશેની બાહેંધરી આપી શકું છું!)
કર્નલ ભટ્ટની બટાલિયન ઉરીમાં ફરજ બજાવી રહી હતી. ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાનનું સૈન્ય તેમની સંરક્ષણપંક્તિઓ પર વારંવાર ગોળીબાર કરે. ગોળીઓના વરસાદની આડમાં ગીચ જંગલમાં બનાવેલી કેડીઓ દ્વારા છૂપા રસ્તે ત્રાસવાદીઓને તેમની સેના આપણા પ્રદેશમાં ઘૂસાડવાનો તે વખતે - અને હજી પણ પ્રયત્ન કરે છે. તેમને ઝબ્બે કરવા ગોરખાઓની પેટ્રોલીંગ પાર્ટીઓને ૨૪ કલાક પેટ્રોલીંગ કરવું પડે. આવી કપરી હાલતમાં કામ કરી રહેલી બટાલિયનનું મનોબળ, કાર્યકુશળતા અને યુદ્ધકૌશલ્યમાં શ્રેષ્ઠ પુરવાર કરવા ઉપરાંત તેમના શસ્ત્ર-સરંજામને ચળકતી અને નવા જેવી હાલતમાં કરવાનું કામ કર્નલ ભટ્ટ માટે અસ્ત્રાની ધાર પર ચાલવા જેવું હતું - તે પણ ફક્ત ૬૦ દિવસમાં. ૧૯૬૫ના યુદ્ધમાં તેમણે આ જ બટાલિયનના જવાનોની સાથે રહી જે કામગિરી કરી હતી તેની યાદ જવાનોમાં હજી તાજી હતી. હવે તેમની આગેવાનીએ જવાનોમાં વિજળીક ગતિએ ઉત્સાહ વધાર્યો અને તેમના નેતૃત્વે 5/9 ગોરખા રાઇફલ્સને અગ્નિપરીક્ષામાં સફળતા અપાવી. તેમણે બટાલિયનને disband થવાની નામોશીમાંથી બચાવી એટલું જ નહિ, ઉરીમાં તેમના જવાનોની ઉત્કૃષ્ટ કામગિરી જોઇ ભારત સરકારે કર્નલ ભટ્ટની બટાલિયનને યુનાઇટેડ નેશન્સની શાંતિ સ્થાપક સેના તરીકે લેબનૉનમાં મોકલી.
મહેનત અને કાર્યમાં સંપૂર્ણ સમર્પણ હોય તો માણસ ઘણી ઉંચાઇઓ સર કરી શકે. હવે કર્નલ ભટ્ટને માઉન્ટન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડરનું પ્રમોશન આપી તેમને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇ પર મોકલવામાં આવ્યા. આ એવો વિકટ પ્રદેશ છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એક તો ત્યાં એટલી અસહ્ય ઠંડી પડે છે કે શરીરની સંભાળ લેવામાં જરા પણ શરતચૂક થાય તો હાથ કે પગમાં frost bight થઇને ત્યાં ગૅંગ્રીન (માંસમાં સડો) થઇ જાય, અને જે હાથ કે પગમાં તેની અસર થઇ હોય તે કાપી નાખવો પડે. રસ્તા પણ એવા દુર્ગમ કે 4 x 4 પાવરના ત્રણ ટન વજન ઉંચકી શકે તેવા ટ્રક એક જ ટન વજન લઇ ૨૫ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં પૂરૂં કરી શકતા. એટલું જ નહિ, આવી એક જ ખેપ કર્યા બાદ વાહનને સમારકામ કે મેન્ટેનન્સ માટે ફીલ્ડ વર્કશૉપમાં મોકલવું પડે. અધુરામાં પૂરૂં તેમના બ્રિગેડ કમાન્ડર માંદા પડી ગયા અને તેમને બ્રિગેડ કમાન્ડરનો ચાર્જ લેવો પડ્યો. તેમને સોંપવામાં આવેલ કપરી કામગિરી નિયત સમય કરતાં વહેલી પૂરી કરી. આ કાર્ય માટે ભારત સરકારે તેમને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કર્યો.
ત્યાર બાદ તેમની પદવૃદ્ધિ થતી ગઇ અને મેજર જનરલના પદ પર તેમને આસામમાં આવેલી માઉન્ટન ડિવિઝનના કમાન્ડર તરીકે ૨૦૦૦૦ સૈનિકોની વિશાળ સેનાનો કમાન્ડ આપવામાં આવ્યો. અહીં તેમને ULFA તથા બોડો ત્રાસવાદીઓ સામે અભિયાન ચલાવવાનું હતું. આસામમાં આવેલી પેટ્રોલિયમ રિફાઇનરીની પાઇપલાઇન ઉડાવી મૂકનારા ULFA ત્રાસવાદીઓ તથા બોડોલૅન્ડની માગણી માટે આસામના ચ્હાના બગીચામાં કામ કરનાર મજુરોની નિર્ઘૃણ હત્યા કરનાર ત્રાસવાદીઓ સામે તેમણે આક્રમક પેટ્રોલીંગ, સંરક્ષણ અને ઉગ્રવાદીઓના કૅમ્પ નષ્ટ કરી દેશદ્રોહીઓની પ્રવૃત્તિ પર નિયંત્રણ કર્યું.
મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retd) હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
મારી નજર સામે હજી પણ પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં પ્રથમ વાર મળેલા હેલ્મેટ,ખુખરી અને રાઇફલધારી કૅપ્ટન મારી સાથે હસ્તધુનન કરી પરિચય આપે છે, “I am Capt. Bhatt..”
Sep
18
Comments Off

“આયો ગુજરાતી ગોરખાલી!” ભાગ ૩

બારામુલ્લા (કાશ્મીર) ૧૯૭૯.

સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, ક્યા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી. ૧૪ વર્ષ વિતી ગયા. આર્મર્ડ ડિવિઝન, ગોરખા પલ્ટન, મહારાજકે અને કલ્લેવાલી સમયના વહેણમાં ખોવાઇ ગયા. અત્યારે જીપ્સી બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટના (મેજરના સમકક્ષ) હોદ્દા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ ફરજ બજાવી રહ્યો હતો. એક દિવસ હુકમ આવ્યો કે બારામુલ્લા ખાતે ડિવિઝનના અફસરોનો મેળાવડો યોજવામાં આવ્યો છે, અને તેમાં મારે હાજર રહેવાનું છે.
તે રાતે સખત ટાઢ પડી હતી. હું મારા સાથીઓ સાથે તાપણાં પાસે રમનો ગ્લાસ લઇને ઉભો હતો ત્યાં અચાનક મારી પાસે પીયૂષ ભટ્ટ આવ્યા. તેમણે મને દૂરથી જોયો અને સામે ચાલીને મળવા આવ્યા. હું તો અત્યંત ખુશ થઇ ગયો. મારા સાથીને તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ મારા ઘણા જુના મિત્ર મેજર ભટ્ટ છે. ૧૯૬૫ની લડાઇમાં અમે સાથે હતા...” અને મારૂં ધ્યાન તેમના પર્કા પર કર્નલની રૅંકના ચિહ્નો તરફ ગયું. “સર, માફ કરશો. મને આપની રૅંકનો ખ્યાલ ન રહ્યો.”
કર્નલ ભટ્ટ હસી પડ્યા. “ અરે દોસ્ત, એવી ચિંતા નથી કરવાની. આટલા વર્ષે મળ્યા એનો આનંદ એટલો છે કે બીજી બધી વાતો અનાવશ્યક બની જાય છે.”
“આપ કર્નલ ક્યારે થયા?” મેં પૂછ્યું.
“થોડો જ સમય થયો. આમ તો મારૂં પ્રમોશન એક વર્ષ પહેલાં થયું હતું અને મને અન્ય બટાલિયનનો કમાન્ડ લેવાની અૉફર આવી. મને મારી પહેલવહેલી બટાલિયન 5/9 ગોરખા રાઇફલ્સનો કમાન્ડ જોઇતો હતો, તેથી એક વર્ષ રાહ જોવી પડી.”
મિલીટરીમાં અફસર તરીકે ભરતી થનાર દરેક અફસરની મહેચ્છા હોય છે કે જે બટાલિયનમાં તેમની પ્રથમ નીમણૂંક થાય તેના કમાન્ડીંગ અૉફિસર બનવાનું સદ્ભાગ્ય તેમને મળે. કર્નલ ભટ્ટનો એક વર્ષ સુધી પ્રમોશન મોકૂફ રાખવાનો નિર્ણય તેમની પ્રતિભાને અનુરૂપ હતો.
"૧૯૭૧ની લડાઇમાં અાપ ક્યાં હતા?" મેં પૂછ્યું.
“૧૯૬૫ની જેમ ૧૯૭૧ની લડાઇમાં પણ મજાની વાત થઇ ગઇ..”
૧૯૭૦ના અંતમાં તેમની બદલી મેજરના હોદ્દા પર ભુતાનમાં થઇ હતી ત્યારે તેમણે સ્ટાફ કૉલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપી અને પાસ થયા. આ પરીક્ષા અત્યંત કડક હોય છે: તેમાં બેસનારા અફસરોમાંથી કેવળ ૩ કે ૪ ટકા પાસ થતા હોય છે. ૧૯૭૧માં વેલીંગ્ટનમાં આ કોર્સ શરૂ થવાને થોડી વાર હતી તેવામાં યુદ્ધનાં વાદળો છવાયા. કોર્સને મુલત્વી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.
મેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે તે પહેલાં લડાઇ શરૂ થઇ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વ શક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય થવા માટે મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભુમિ જેવી સ્થિતિમાં સાથે રહી, યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. તેમાં જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહિ. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુમ્બીક પરિસ્થિતિ વિશે માહિતગાર થઇ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:
“1/9 GRની ‘બ્રૅવો’ કમ્પનીનો કમાન્ડ લઇને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને અૅટેક કરવાનો હુકમ મળ્યો. આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો અને ૧૨૦ સૈનિકો - જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની થઇ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.
પંજાબમાં રાવિ નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ બાંધવામાં આવ્યો છે. ડેરા બાબા નાનક નજીક પૂરનું જોર ભારે હોવાથી ત્યાં ધુસ્સી બંધની ત્રણ ગોળાકાર હરોળ બાંધવામાં આવી. આ ‘રીંગ બંધ’ના નામથી ઓળખાય છે. દુશ્મને આ ત્રણે હરોળ પર કબજો કર્યો હતો. અમને તેના પર હુમલો કરી, રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને ઉખેડી તેને પાછી મેળવવાનો હુકમ મળ્યો. મેં જગ્યાનું છુપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. રીંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યો. આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની અાપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઇ બીજી હરોળ પર ખાબકવાનું! આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનો સાથે હું રહીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.
“દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. મેં તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યો. અમે ચૂપકીદીથી અૅડવાન્સ કરી દુશ્મનની હરોળથી ૧૦૦ મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઇ દુશ્મન પર હુમલો કર્યો. પરમાત્માની કૃપાથી મારી યોજના સફળ થઇ. ઝડપથી અમે રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને હઠાવ્યો."
કલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર ગોરખાઓ સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝતા દુશ્મન પર “આયો ગોરખાલી”ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભૂત અને રોમાંચકારક હશે!
કર્નલ ભટ્ટે કહ્યું, “મારી કામગિરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવિ નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઇ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં gap હતો. દુશ્મનને તેની જાણ થતાં તે રાવિ નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર - પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યાએ મારી કંપનીને માઇન્સની જાળ બીછાવવાનો હુકમ મળ્યો.
(નોંધ: અહીં વાચકોને કદાચ યાદ હશે કે "ખોવાયેલા સૈનિકોની શોધમાં"ના શિર્ષક હેઠળ જીપ્સીની ડાયરીમાં વર્ણન કર્યું હતું કે ડેરા બાબા નાનકના છ-સાત કિલોમીટરના વિસ્તારમાં જીપ્સીએ આપણી રક્ષાપંક્તિ-વિહીન સ્થાન જોયું હતું અને તેનો રિપોર્ટ બ્રિગેડ કમાન્ડરને આપ્યો હતો. આ માહિતીના પરિણામે તે જગ્યાએ માઇન્સ બીછાવવા ભટ્ટસાહેબની કંપની ગઇ હતી.)
“મારી કંપનીને જ્યાં માઇન્સ બીછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ ‘અૉબ્ઝર્વેશન પોસ્ટ' કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને ‘આર્મ’ કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન બીછાવનાર જવાનના ફૂરચેફુરચા ઉડી જાય. રાતના અંધકારમાં અમારૂં કામ પૂરૂં થવા આવ્યૂં ત્યાં પરોઢના ભળભાંખડામાં દુશ્મનનો નિરીક્ષક અમને જોઇ ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાના ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડે કે તે ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર પડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બૉમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ સનનન કરતી આવીને મારા શરીરથી બે-ત્રણ ઇંચ નજીક વરસતી હતી. તમે પોતે ૧૯૬૫માં આનો અનુભવ કર્યો છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.”
(વધુ આવતા અંકમાં...)
Sep
17
Comments Off

“આયો ગુજરાતી ગોરખાલી!” ભાગ ૨

કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી. ઝાંસીની આસપાસના જંગલોમાં આ અગાઉ થયેલી એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.
ત્યાર બાદ લડાઇએ એવું તે જોર પકડ્યું કે ન પૂછો વાત.
ફિલ્લોરાના યુદ્ધમાં ગોરખા રાઇફલ્સની ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના માર્ચ મહિનાના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.
ફિલ્લોરા પરના વિજય બાદ અમારી રક્ષાપંક્તિ પર દુશ્મનની ટૅંક્સ ગોળા વરસાવી રહી હતી. તેમાંની એક ટૅંક અમારી નજીકના ‘No man’s land’માં હતી. શેરડીના ખેતરમાં તેમણે એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપવામાં આવ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટની આગેવાની નીચે તેમના જુનિયર કૅપ્ટન ગાંગુલી અને છ સૈનિકોની ટુકડી નીકળી. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. ઇન્ફન્ટ્રીની ટુકડીનું આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર છઠી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા અને શહીદ થયા હતા. તે સમયે પાકિસ્તાનની ટૅંક્સ પાસે ઇન્ફ્રારેડ દૂરબીન હતી તેથી તેઓ રાતના અંધકારમાં પણ જોઇ શકતા હતા. કૅપ્ટન ભટ્ટ, ગાંગુલી અને તેમના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા અને ટૅંક પર ચઢી, તેનું હૅચ ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.
ફિલ્લોરાની સફળતા બાદ એક દિવસનો આરામ મળ્યો અને અમને બીજી કામગિરી મળી: કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. કલ્લેવાલીમાં ફર્મ બેઝ (સુરક્ષાપટ) બનાવ્યા બાદ ત્યાં આવનારી બટાલિયનને આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. તેમના પર બૉમ્બવર્ષા ન થાય તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર પ્લૅટૂનને લઇ તેઓ ફર્મ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો reverse angle કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરનું શેલીંગ કરી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે દુશ્મનની તોપથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.
આપણી સેના અલ્હર સ્ટેશન સુધી પહોંચી હતી અને સિયાલકોટ તરફ આગળ વધીએ તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગયા. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી. વળી વાત અહીં પૂરી નહોતી થઇ.
આગળની રસપ્રદ વાત આવતા અંકમાં!
Sep
16
Comments Off

“આયો ગુજરાતી ગોરખાલી!” ભાગ ૧

કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫

મિલીટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. આ રજામાંનો એક એક દિવસ પોતાના સ્વજન-પરિવારની સાથે ગાળી તેની યાદને વર્ષના બાકીના દિવસોમાં માતાએ બનાવેલ અથાણાંની જેમ ચલાવવી પડે. કોણ જાણે ફરી ક્યારે રજા મળે!
આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ ટિકીટનું અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને સૂચના આપવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”
લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. મિલીટરીના મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - નીયરેસ્ટ રેલ્વે સ્ટેશન ક્યાં છે તે પૂછ્યું.
“5/9 GR? એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”
નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.
લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. સ્ટેશન પર પહોંચતા તેમને કહેવામાં આવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. તમારા યુનિટના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે.”
કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ એક ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાનો FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર) ક્યાંક સંતાયો હતો અને વાયરલેસ પર બૅટરી કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરવાતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર જવાનો ફરીથી પ્રયત્ન કરીશું. તું રોકાઇ જા.”
“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”
બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. નકશો જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, રાઇફલ ખભે ટાંગી અને કમર પર ખુખરી બાંધી. બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ લઇ ભર બપોરના એકલાજ નીકળી પડ્યા. રસ્તામાં બૉમ્બવર્ષા થાય તો ખેતરની પાળ આડે પોઝીશન લે, અને વાતાાવરણ શાંત પડે કે તરત આગેકૂચ શરૂ. વચ્ચે જ રોકાઇને હોકાયંત્રમાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં ખાઇઓમાં ડીફેન્સીવ પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.

જીપ્સીની વાત:

સપ્ટેમ્બરની ૨જી તારીખની રાત હું કદી ભૂલી નહિ શકું. અૉફિસર્સ મેસમાં જમીને મારો સાથી લેફ્ટનન્ટ સમદ્દર (સૅમી) અને હું અમારા તંબુની બહાર બેસી વાતો કરી રહ્યા હતા. અચાનક અમારી બટાલિયન તથા આજુબાજુના યુનિટ્સની વચ્ચે આવેલા મોટા ચોગાનમાં ૪૦-૫૦ કૂતરાં ભેગા થયા. બે કૂતરા ભેગા થાય તો સીધા લડવા લાગે. અહીં તો તેમની જાણે એક કંપની પરેડ ગ્રાઉન્ડ પર આવી ગઇ હોય તેમ શિસ્તબદ્ધ થઇને મોટા કુંડાળામાં બેસી ગયા અને સામુહિક રૂદન શરૂ કર્યું. બચપણમાં મને આવા મૃત્યુપૂર્વે જ ગવાતા હોય તેવા મરસિયા જેવા શ્વાનરૂદનનો દુ:ખદ અનુભવ હતો. મારાથી બોલાઇ જવાયું “Sammy, this is ominous. I think it’s war.”
છેલ્લા છ’એક મહિનાઓથી અમે યુદ્ધ માટે પંજાબમાં તૈયાર હાલતમાં બેઠા હતા, પણ બ્યુગલો વાગતા નહોતા. સૅમીને કહેલા શબ્દો હવામાં વેરાય તે પહેલાં અમારા કમાન્ડીંગ અૉફિસરનો ‘રનર’ (સંદેશ વાહક) ખરેખર દોડતો આવ્યો. તેણે કહ્યું, “જયહિંદ, સર. સીઓ સાહેબે આપને યાદ કર્યા છે.” અમે દોડતા જ હેડક્વાર્ટર્સમાં પહોંચ્યા.
અમારા સી.ઓ. કર્નલ રેજીનૉલ્ડ ગૉન (Gaughan) આયરીશ-ભારતીય હતા. તેમણે અમને ટૂંકા મૌખીક હુકમ આપ્યા. “આર્મર્ડ ડિવિઝન અૅસેમ્બ્લી એરીયા તરફ જવા માર્ચીંગ કરશે. NMB 0500 hours. વિગતવાર હુકમ તમારા કમ્પની કમાન્ડર આપશે.” NMB 0500 hours એટલે ‘નો મૂવ બીફોર ફાઇવ એ.એમ.’
બ્યુગલ વાગ્યું!
(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં આ વાતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં લઇ જઇશ.)
પાકિસ્તાનનું મહારાજકે ગામ. ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવારે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બ્રીફીંગમાં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.
“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” સ્મિત સાથે તેમણે પોતાનું નામ કહ્યું
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”

(વધુ આવતા અંકમાં!)
Sep
16
Comments Off

માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક

ના, આને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય. વાવણી બીજા કોઈ કરે અને લણણી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી કરે તો તેને માસ્ટરસ્ટ્રોક નહીં, મોદીસ્ટ્રોક કહેવાય. થોડી વધુ સ્પષ્ટતા કરીએ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીજીની આશ્ચર્યજનક રીતે વરણી થઈ. આપણને આશ્ચર્ય લાગ્યું, પણ બિચારા અમિત શાહને તો આંચકો લાગ્યો છે. શાહસાહેબ કો ઝટકા અર્થાત મોદીસ્ટ્રોક ક્યું લગા?

તેના માટે ભૂતકાળમાં ડોકિયું કરી લઇએ. જીસીએના પ્રમુખપદની ગાદી બહુ દૂર નથી તેનો સંકેત ચાલુ વર્ષે નરેન્દ્રકાકાને 29 મેના રોજ મળી ગયો હતો. તે દિવસે ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદની ચૂંટણી યોજાઈ હતી. તેના કુલ 171 મતમાંથી અમિત શાહના જૂથની પેનલનો 138 મત સાથે વિજય થયો હતો અને નરહરી અમીન જૂથની પેનલનો માત્ર 32 મત સાથે શરમજનક પરાજય થયો હતો. તેની સાથે જ જીસીએમાં અમીનયુગનો અંત આવ્યો હતો. રમતજગતના અભ્યાસુઓ અને જીસીએમાં થઈ રહેલી હિલચાલ પર નજર રાખતાં નિષ્ણાતો જીસીએના નવા પ્રમુખ અમિત શાહ જ બનશે તેવું દ્રઢપણે માનતા હતા. કદાચ અમિત શાહ પણ પોતાને જીસીએના પ્રમુખ જ માનતા હતા અને તેવું માને તે સ્વાભાવિક છે. તેનું કારણ ભાજપના જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું.

સૂત્રોએ જણાવ્યું કે, જીસીએમાંથી અમીન જૂથને દૂર કરવાનો વિચાર મૂળે અમિત શાહનો છે. તેઓ ક્રિકેટની રમત અને તેમાં રમતાં સટ્ટાથી સારી રીતે વાકેફ છે. મિત્રો, તેઓ ગૃહપ્રધાન હોવાના નાતે તેઓ સટ્ટા વિશે જાણકારી ધરાવે છે, બીજો કોઈ અર્થ નથી. ક્રિકેટ સોના આપતી મરઘી જેવો ધંધો (હવે તેમાં રમત ક્યારેક જ જોવા મળે છે) છે અને ગંદા હૈ પર ધંધા હૈ જેવી રમતમાં ગુજરાતના સર્વેસર્વા બનવાનું સ્વપ્ન શાહસાહેબ સેવતા હતા. અમિત શાહની ધારણા એવી હતી કે, મોદીસાહેબની નજર વડાપ્રધાનની ગાદી પર હોવાથી જીસીએની ખુરશીમાં તેમને રસ નહીં પડે. પણ તેમની ધારણા ખોટી પડી. તેમને મોદીજીનો મંત્ર ખબર નથીઃ જહાં ગાદી વહાં મોદી...પણ મોદીજીએ ઉતાવળ ન કરી. તેમને ફિલ્ડિંગ અમિત શાહને જ ભરવા દીધી. બેટિંગ કરવાનું આવશે ત્યારે મેદાનમાં ઉતરી જઇશું તેવું તેમણે નક્કી કર્યું હતું. અને થયું પણ એવું જ.

29 મેના રોજ અમીનજૂથનો પરાભવ થયો તે પછી 19 જૂનના રોજ જીસીએના સેક્રેટરી તરીકે અમીનના વિશ્વાસુ મનાતા સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું. તે પછી 22 જૂનના રોજ જીસીએની કારોબારીમાંથી સભ્યપદેથી વલસાડના કાંતિભાઈ દેસાઈ, ગાંધીનગરના મેહુલભાઈ પટેલ, સુરતના હનીફભાઈ પટેલે રાજીનામા ધરી દીધા. અમિત શાહના પ્રમુખ બનવા આડેના તમામ વિઘ્નો દૂર થઈ ગયા હતા. દરમિયાન 29 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં જીસીએની ચૂંટણી કરવાનો આદેશ આપ્યો. 15 સપ્ટેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમમાં અમિત શાહની વરણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. પણ શાહસાહેબને હજુ થોડી વધુ ધીરજ ધરવાનો આદેશ મળ્યો.

પ્રાપ્ત જાણકારી મુજબ, જીસીએમાં શાહજૂથનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો. શાહસાહેબે વાવણી કરી હતી અને લણણી કરવાની તૈયારીમાં હતા ત્યારે તેમને આંચકો લાગ્યો. મોદીસાહેબે પોતે ક્રિકેટના મેદાનમાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી. પછી શાહસાહેબ પાસે પોતાના ગળા માટે તૈયાર કરેલી વરમાળા મોદીકાકાના ગળામાં પહેરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ પ્રકારના સ્ટ્રોકને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય.

ચલતે-ચલતેઃ ક્રિકેટના મેદાનની લંબાઈ કેટલી છે તેની પણ જાણકારી ન ધરાવતા ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા થઈ ગયા છે- કિર્તી આઝાદ, ભૂતપૂર્વ ક્રિકેટર
Sep
16

રૂકાવટ કે લિયે ખેદ હૈ…


આ ફોટો ‘સફારી’ની ઓફિસમાં લેવાયો નથી, પણ છેલ્લા દસેક દિવસથી ત્યાં માહોલ કંઇક આવો જ છે. બ્લોગ પર નવી પોસ્ટની ગેરહાજરી માટે એ માહોલ ઘણે અંશે જવાબદાર છે.

ગુજરાતી તેમજ અંગ્રેજી ‘સફારી’ના દિવાળી અંક વત્તા નવેમ્બરના પણ અંકની પૂર્ણાહૂતિ બાદ બ્લોગ રાબેતા મુજબ...
Sep
16
Comments Off

Chintu ki kahani……

Pareshaan thi Chintu ki wife
Non-happening thi jo uski life
Chintu ko na milta tha aaram
Office main karta kaam hi kaam


Chintu ke boss bhi the bade cool
Promotion ko har baar jate the bhul
Par bhulte nahi the wo deadline
Kaam to karwate the roz till nine

Chintu bhi banna chata tha best
Isliye to wo nahi karta tha rest
Din raat karta wo boss ki gulami
Onsite ke ummid main deta salami


Din guzre aur guzre fir saal
Bura hota gaya Chintu ka haal
Chintu ko ab kuch yaad na rehta tha
Galti se Biwi ko Behenji kehta tha


Aakhir ek din Chintu ko samjh aaya
Aur chod di usne Onsite ki moh maya
Boss se bola, "Tum kyon satate ho ?"
"Onsite ke laddu se buddu banate ho"


"Promotion do warna chala jaunga"
"Onsite dene par bhi wapis na aunga"
Boss haans ke bola "Nahi koi baat"
"Abhi aur bhi Chintus hai mere paas"


"Yeh duniya Chintuon se bhari hai"
"Sabko bas aage badhne ki padi hai"
"Tum na karoge to kisi aur se karunga"
"Tumhari tarah Ek aur Chintu banaunga"


(WAKE UP CHINTU)

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll