Browsing all articles in સંગીત
Jul
30

ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

- ધૂની માંડલિયા

Jul
27

શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

– અશરફ ડબાવાલા

————–
ધવલભાઇ આ ગઝલ માટે કહે છે :
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર - લયસ્તરો)

————-

અને હા….. સાથે એક અગત્યની જાહેરાત (Press Note as provided by Chicago Art Circle)

ફ્રેન્ડ્ઝ ઓફ શિકાગો આર્ટ સર્કલ યોજે છે
“શબ્દ અને સંગીતનો મહોત્સવ”

શિકાગોના મશહૂર તબીબ ડો. અશરફ ડબાવાલા એક હાથે પ્રિસ્ક્રિપ્શન ને બીજા હાથે કવિતા લખે છે. અશરફ ડબાવાલાની ગઝલો ગુજરાત તેમ જ અમેરિકામાં સમાનભાવે સમાદર પામી છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાત લિટરરી એકેદમી ઓફ નોર્થ અમેરિકાનું ચુનીલાલ વેલજી પારિતોષિક અને વિખ્યાત નાટ્યસંસ્થા “આઇએનટી” નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયાં છે. તેમનો કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેમની નિગેહબાની હેઠળ છેલ્લાં ૧૫ વર્ષોથી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ અને લોકપ્રિય કાર્યક્રમો રજૂ કરતી સંસ્થા “શિકાગો આર્ટ સર્કલ” અવારનવાર અમેરિકાના વિશિષ્ટ ભારતીયોને બિરદાવે છે. તે “શિકાગો આર્ટ સર્કલ”ના ઉત્સાહી મિત્રો હવે એવા અલબેલા શાયર ડો. ડબાવાલાને બિરદાવવા ગુજરાતી શબ્દ અને સંગીતનો બે દિવસનો મનોરંજક તેમ જ કર્ણરંજક કાર્યક્રમ યોજી રહ્યા છે. શનિવાર, તારીખ ૭મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૬:૩૦ વાગ્યાના એક ભવ્ય “આંતરરાષ્ટ્રીય કવિ સમેલન”માં શ્રી અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવામાં આવશે, અને તે ઉપલક્ષ્યે ભારતથી આમંત્રિત કવિઓ ચિનુ મોદી, અનિલ જોષી, વિનોદ જોષી, કૃષ્ણ દવે અને અમેરિકાના ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, અબ્દુલ વહીદ “સોઝ”, કમલેશ શાહ, ભરત દેસાઈ અને અન્ય મહેમાન કવિઓ પોતાની કૃતિઓ પેશ કરશે. આ સભામાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત છે મધુ રાય, રામ ગઢવી, મધુસૂદન કાપડિયા અને નરેન્દ્ર લાખાણી.

રવિવાર તારીખ ૮મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૪:૩૦ વાગ્યે આયોજીત “સંગીત સંધ્યા”માં ન્યુજર્સીના પ્રો. મધુસૂદન કાપડિયાનું તેમની અવિરત સાહિત્યસેવા બદલ, કેલિફોર્નિયાનાં જયશ્રીબહેન ભક્તાનું તેમના સાહિત્યિક બ્લોગ “ટહૂકો” (www.tahuko.com) થકી કરાતી કાવ્યસેવા બદલ, અને ઇલિનોઈ સર્કિટ કોર્ટ(શિકાગો)નાં જજ કેતકિ શ્રોફનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરાશે. આ પ્રસંગ ઉજવવા ગુજરાતી સંગીતવિશ્વના લોકપ્રિય કલાકારો શ્યામલ, સૌમિલ, અને આરતી મુન્શી પેશ કરશે ગીત, ગઝલ અને હાસ્યસભર સંગીતની રમઝટ.

આ ઉત્સવ ઉજવાશે 435 નોર્થ રાઉટ 59, બાર્ટલેટ, ઇલિનોઈ 60103 (ફોન 630-837-1077) સ્થિત રમણીય જૈન સેન્ટર ઓડિટોરિયમમાં. કાર્યક્રમના આયોજકો કહે છે કે સાચી શોભા તો તેના પ્રેક્ષકો જ છે. અમે દેશ પરદેશથી ઉત્તમ ચીજો પેશ કરીએ જ છીએ અને આશા છે કે સાહિત્ય અને સંગીત રસિકો ઊલટથી ભાગ લેશે અને કાર્યક્રમને, અશરફને બિરદાવશે.

આ કાર્યક્રમની ટિકિટો છે: ૭મીનું કવિ સંમેલન તથા અલ્પાહાર - $10, $25, VIP($50); ૮મીની સંગીત સંધ્યા સાથે ડિનર - $25, $35, VIP($50); બંને દિવસની સંયુક્ત ટિકિટ - $25, $50, VIP($100).

ટિકિટ તેમ જ વધુ માહિતી માટે વીરેશ ચાંપાનેરી 847-566-2029; નિશા કપાસી 847-757-6342; ઉત્પલ મુન્શી 224-578-5100; મુકુન્દરાય દેસાઈ 847-803-9560 અથવા હોરાઇઝન મેડિકલ સેન્ટર (લીના) 847-490-0600

Jul
26

વીજળી છે કે કોઈના દસ્તખત ! – રવીન્દ્ર પારેખ

(photo: TrekEarth.Com)

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું -
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

Jul
20

પહેલી હેલી પછી – ઉશનસ્

પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !

બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી

જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.

- ઉશનસ્

Jul
18

તો તુ શું કરીશ ? – મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

- મુકેશ જોષી

Jul
16

મરવાનું મન થયું – અમર પાલનપુરી

સ્વર - સંગીત : હરીશ સોની

This text will be replaced

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

- અમર પાલનપુરી

Jul
10

મનોજ પર્વ ૧૨ : જળ

‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે -

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

*  *  *  *  *

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.

- નીતિન વડગામા

***********

(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)

સ્વર-સંગીત : અમર ભટ્ટ

This text will be replaced

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

- મનોજ ખંડેરિયા

Jul
8

મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ

સ્વર - સંગીત : અમર ભટ્ટ

(The horizon @ 0.00 degrees Equator, Kenya)

This text will be replaced

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

- મનોજ ખંડેરિયા

Jul
7

મનોજ પર્વ ૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી - પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

This text will be replaced

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? :) )

This text will be replaced

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

This text will be replaced

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

- મનોજ ખંડેરિયા

Jul
6

મનોજ પર્વ : ૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
- મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે - પણ આજે આ ગઝલ - કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત - શ્યામલ - સૌમિલ મુન્શી

kheen.jpg

This text will be replaced

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

- મનોજ ખંડેરિયા

Jun
30

ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે

જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.

નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.

છાતી પર ખંજર ક્યાં મારો?
જાન હથેળી પર રાખી છે.

હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.

માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.

- મકરંદ મુસળે

Jun
26

સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

This text will be replaced

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

Jun
25

પ્રણયપત્રો – ચન્દ્રકાન્ત ‘સુમન’

કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યાં તો નથી,
ખુદબખુદ માની ગયાં છે ? મેં મનાવ્યાં તો નથી.

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી?

દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગર માંહે વસાવ્યા તો નથી?

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?

કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે ?
આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી?

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?

- ચન્દ્રકાન્ત ‘સુમન’

Jun
17

તળાવમાં – વંચિત ફુકમાવાલા

છોડી મને કૂદી પડયું, બચપણ તળાવમાં
ત્યાં દોડતું આવ્યું સ્મરણનું ધણ તળાવમાં

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડયું હો, મોજનું આંધણ તળાવમાં

વાતાવરણમાં યોગના આસાન કરી કરી
સૂતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં

આઠે પ્રહરમાં લ્યો હવે, ઊજવાય ઉત્સવો
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં

અર્ધા ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં

હૈયાવરાળ ઠારવા પનિહારીઓ બધી
ભેગી મળી લૂછયા કરે પાંપણ તળાવમાં

શુદ્ધીકરણ દિન રાત એ જળનું કર્યા કરે
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં

વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કૂદી પડયું બચપણ તળાવમાં

-વંચિત ફુકમાવાલા

કવિ શ્રી સુરેશ દલાલે ‘હયાતીના હસ્તાક્ષર’ (દિવ્ય ભાસ્કર)માં કરાવેલો આ ગઝલનો આસ્વાદ:

શૈશવની સુગંધની ગઝલ

વંચિત ફુકમાવાલા ભુજમાં રહે છે. બનતા લગી નગરપાલિકામાં પાણી ખાતાના ઓફિસર છે. પાણી સાથે સંકળાયેલો માણસ તળાવ વિષે લખે એ સ્વાભાવિક છે. કયારેક ભુજ જાઉ ત્યારે એમને મળવાનું થાય. ઓછાબોલો અને ઓછાલખો માણસ છે. આપણે ત્યાં હમણાં હમણાં ગઝલનો રાફડો ફાટયો છે. એક જમાનામાં એવું કહેવાતું કે સોનેટ ન લખે તે કવિ ન કહેવાય. ઝવેરચંદ મેઘાણી એમાં અપવાદ રહ્યા. ગઝલ કે ગીત કોઈ પણ સ્વરૂપે કાવ્ય આવે તો કોઈને વાંધો ન હોય પણ ગઝલનું પૂર આવ્યું છે, ગઝલનું ગુલાબ મુશાયરાઓની તાળીમાં ભીંસાઈ જતું હોય છે. કાવ્યની અંદર અકાવ્ય એટલી સહેલાઈથી પેસી જાય છે કે કાંકરામાંથી ઘઉ વીણવા જેવી વાત છે.

તળાવની વાત આવે એટલે રાજેન્દ્ર શાહની એક પંકિત અચૂક યાદ આવે. ‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત, પ્રજ્ઞ.’ વંચિતની આ ગઝલ જુદા મિજાજની છે. એની યુકિત સંવેદનથી રસાયેલી છે. ભલે ઓછું લખે પણ કરાયેલી કલમનો કસબ જોવા જેવો છે. રશિયન કવિ યેવટુ શેન્કોએ જંકશન નામનું એક કાવ્ય લખ્યું. એમાં કાવ્યનાયકને કૂવામાં પોતાના શૈશવની સુગંધ આવે છે. વંચિતનું સમગ્ર બાળપણ જાણે કે તળાવમાં કૂદી પડયું છે. જે વસ્તુ જાય છે એ દેખીતી રીતે જાય છે પણ સ્મરણરૂપે તો રહે જ છે. કવિએ સ્મરણને ધણ સાથે સરખાવ્યું છે. બચપણનું કૂદી પડવું અને સ્મરણના ધણનું દોડતું આવવું આ બે ક્રિયાની વરચે કાવ્યની પ્રક્રિયા છે.

મોજાંના આંધણની વાત પણ ગમે એવી છે. પાણીની થપથપાટમાં જળના સ્પર્શનો અનુભવ થાય છે. કવિ કયાંથી કયાં પહોંચી જાય છે. એમાં છલાંગ છે પણ કૂદાકૂદ નથી. શવાસનમાં પડેલા રજકણો જાણે યોગના આસન કરી રહ્યા હોય એવું લાગે છે. આ કવિની મૌલિકતા સ્પર્શે એવી છે. આઠે પ્રહર ઉત્સવ હોય ત્યારે જળ જાણે કે રંગીન વસ્ત્રો ધારણ કરે છે. સમગ્ર ગઝલમાં એક શેર તો નજર લાગે એવો છે. એ શેર જ ટાંકવો પડે.

‘અર્ધી ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો/લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.’

આપણા ભાષણખોર વકતાઓ મંચ મળ્યો નથી કે તૂટી પડયા નથી. ગઝલની ખૂબી એ છે કે એનો કેમેરા તળાવને કેન્દ્રમાં રાખીને આસપાસના અનેક પદાર્થોપર પડે છે. કયારેક પાત્રો પર પણ પડે છે. તળાવ હોય અને પનિહારીઓ ન હોય એ તો કેમ બને? પનિહારીઓ હોય અને પાંપણમાં પાણી વધારે છે કે તળાવમાં પાણી વધારે છે એની સમસ્યા હજી એકવીસમીમાં સદીમાં પણ પૂરેપૂરી ઉકેલાઈ નથી. જળ જળને ધોતાં હોય છે. પ્રદૂષણથી દૂર થતાં હોય છે. કદાચ ગામલોકમાં જેટલી સમજણ નથી એટલી જળતત્ત્વમાં છે. જળનું કામ જ સ્વરછ અને શુદ્ધ કરવાનું. વરસાદના ભાંભરાં જળ બૂમ પાડે છે એ કવિના કાન સિવાય અન્ય કોઈને સંભળાય એવું નથી.

એક શહેરમાં શુદ્ધીકરણની વાત આવે છે ત્યારે રામનારાયણ પાઠકની ચાર પંકિત યાદ આવે છે :

ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
જે સર્વત: સ્પર્શ કરે મનુષ્યને!
રમાય, પીવાય, ન્હવાય, જેમાં.

કવિની આ ગઝલની સાથે એક જળનું ગીત પણ જોઈએ:

લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે!
કંપ્યું જળનું રેશમપોત
કિરણ તો ઝૂકયું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીઓ!
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!

Jun
15

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

-  ધ્રુવ ભટ્ટ

Jun
10

અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

Jun
8

ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

- કૃષ્ણ દવે

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll