જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા
આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..
અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો - અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે - માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ
કાવ્ય સંગીત શ્રેણી - મનોજ ખંડેરિયા (૧૩ માર્ચ, ૨૦૧૦ - અમદાવાદ)
(Photo : મનોજ ખંડેરિયા)
સ્વર સંગીત - અમર ભટ્ટ
આલ્બમ - શબ્દનો સ્વરાભિષેક
Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007
જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..
વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..
ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..
અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..
– મનોજ ખંડેરીયા
નારી તું નારાયણી – અમિત ત્રિવેદી
પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી
અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી
તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી
નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી
મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી
- અમિત ત્રિવેદી
લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા
આજે ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલ.
(ગની દહીંવાલા….Photo: ગુજરાતી સાહિત્ય પરિષદ)
સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
- ગની દહીંવાલા
——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.
કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
(આભાર - લયસ્તરો )
ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્
ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે
લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે
તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
- હિમાંશુ ભટ્ટ્
દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ
(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)
એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જિંદગી એ રીતથી જીવ્યા કરે.
ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.
મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે.
જાણ ખુદની છે છંતાયે એ હજુ
અન્યને પોતા વિશે પૂછયા કરે.
જીવવાનું છે અહિં ઘોંઘાટમાં
લાગણીને એ સતત પીંજયા કરે.
- મેઘબિંદુ
સ્વપ્નાં વચ્ચેથી રસ્તો – જવાહર બક્ષી
આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘સ્વપ્નાં વચ્ચેથી રસ્તો’
(…..ખીણ અને ટેકરીઓ…..Lassen Volcanic National Park, California)
અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો.
સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.
સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.
પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો.
એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
તોય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો.
- જવાહર બક્ષી
આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા
ગાયક / સંગીતકાર - રાજેન્દ્ર ઝવેરી
કવિ - મનોજ ખંડેરિયા
આપણી જુદાઈનું આ ભામ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય
કવિ: રવિ ઉપાધ્યાય (www.raviupadhyaya.wordpress.com) ,
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા ડો.જગદીપ ઉપાધ્યાય
મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’
કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…
રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…
કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…
પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…
લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…
હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…
વાત વિગતવાર કરી દે… – ગૌરાંગ ઠાકર
મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.
ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.
તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.
એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ ને પણ એક ગઝલકાર કરી દે.
- ગૌરાંગ ઠાકર
ગઝલ મનોરંજન – મનોજ ખંડેરિયા
ગઝલ પઠન - મનોજ ખંડેરિયા
પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે
શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે
આંખમાં કીકી જેમ તું સાચવ
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે
સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે
આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે
કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે
- મનોજ ખંડેરિયા
( અડાયું = ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું)
ગુંજન ગાંધીના શબ્દોમાં આ ગઝલના થોડા શેરનો આસ્વાદ :
શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે…
એમની ગઝલ માણીએ,
આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે…આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને ‘જીવવું’ કહીએ છે પણ..
પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે
હવે પછીનો અદભૂત શેર…વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ…આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર ‘જીવો’ છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..
આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે
મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે….પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..
આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે
અને છેલ્લો શેર…તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ ’stage’ સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે
સ્થળ, સમય, ઘટના…. – કવિ રાવલ

(More than 600,000 people were left homeless by the January 12 Haitian earthquake……સ્થળ, સમય, ઘટના….)
કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.
વીજળી, વાદળ અને વગડો લખે છે,
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે.
શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે,
કોણ મારા નામનો પડઘો લખે છે?
જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.
છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
જિંદગી પણ કેટલી શરતો લખે છે!
વર્ષો જવાને જોઇએ – અમૃત ‘ઘાયલ’
સ્વર - સંગીત : મનહર ઉધાસ
વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!
પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!
અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!
મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.
કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!
ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!
‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.
- અમૃત ‘ઘાયલ’
ધરતીની એક ત્રાડ – કૃષ્ણ દવે
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના દિવસે આવેલા ભુકંપ પછી લખાયેલી કવિ શ્રી કૃષ્ણ દવેની આ ગઝલ……
* * * * *
ધરતીની એક ત્રાડ, તમે શું કરી શકો?
હૈયે પડી તિરાડ, તમે શું કરી શકો.
પ્રત્યેક ખોપરીનો લઇ એક્સ-રે જુઓ તો
સરખી છે ચીર ફાડ, તમે શું કરી શકો?
તૂટું તૂટું થતી છત મૂંઝાઇને કહે છે,
ખૂલે નહિ કમાડ, તમે શું કરી શકો?
પગથી વળેલ ઘરને ટેકો દઇ ઉભેલા
પૂછી રહ્યાં છે ઝાડ, તમે શું કરી શકો?
ત્યાં કાટમાળમાંથી બાળક મળે છે રમતું
ઇશ્વર લડાવે લાડ, તમે શું કરી શકો?
- કૃષ્ણ દવે
ચલો આંગણામાં મનાવીએ – ગૌરાંગ ઠાકર
![]()
(જરા ઝાડ જીવતું રાખજો…… …….૧૫-૦૪-૨૦૦૯)
* * * * *
તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત–હૂંફનાં અવસરો.
હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.
ભલે જાય સૂર્ય કિરણ લઇ, તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો.
મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું.
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.
હતું મૂલ્ય સ્વપ્નનું એટલું, અમે પાઇ પાઇ ચુકાવી છે.
અમે આંખ આંસુથી ધોઈ છે, કીધો બંધ આંખે ઉજાગરો
- ગૌરાંગ ઠાકર
…કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા – ભગવતીકુમાર શર્મા
આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.
લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.
સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.
બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.
વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.
આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?
અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !
- ભગવતીકુમાર શર્મા
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને – મુકુલ ચોકસી
આજે ૨૧ ડિસેમ્બર - વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં
કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી
ગઇકાલે શૂન્ય પાલનપુરીની ‘ગઝલ’ ઉપરની ગઝલ સાંભળી હતી… તો આજે આદિલ મન્સૂરી સાથે જઇએ ‘ગઝલના ઘરમાં..’
* * * * *
નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં
આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં
આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં
તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં
આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં
હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં
- આદિલ મન્સૂરી

















