ન તો કંપ છે ધરાનો -ગની દહીંવાલા
આજે ગનીચાચાની પૂણ્યતિથિએ એમને સાદર શ્રદ્ધાંજલી સાથે સાંભળીએ એમની મને ખૂબ જ ગમતી ખૂબ જ જાણીતી ગઝલ…

(સૂરજ સુધી ગયો છું… ફોટો: વેબ પરથી)
સંગીત : ભરત પટેલ
ગાયક : નિગમ ઉપાધ્યાય
[See post to listen to audio]
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.
- ગની દહીંવાલા
(સૌજન્ય: ઓડિયો આલ્બમ માટે ‘ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન’ - શ્રી લલિત શાહનો ખાસ આભાર)

ખુદની બાદબાકી થઈ ગઈ
![]()
(તીડ… ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)
*
સહુ મિત્રોને હોળી તથા ધૂળેટીની રંગબેરંગી શુભકામનાઓ…
*
નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.
તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !
શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.
શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…
- વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)
એક બિનસરહદી ગઝલ…
![]()
(ભગત અને બગભગત…. ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(ભગતડો અને બગલો ~ Little cormorant & Little Egret)
*
सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.
બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।
सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.
ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।
सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?
તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।
-વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૦૧-૨૦૧૦)
વસંત : (વસંત મળે) -હિતેન આનંદપરા

(ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની… ફોટો: વેબ પરથી)
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
- હિતેન આનંદપરા
(સૌજન્ય: વેબમહેફિલ.કોમ)
વસંત ક્યારેક ટેહૂક ટેહૂકની સવારી પર વાજતે ને ગાજતે આવે છે તો ક્યારેક કોઈ બંધ પરબિડીયામાં છાનીમાની પણ આવે છે. વિખરાઈ ગયેલી અતૃપ્ત ઝંખનાઓના ફરી મળવાની ઘટનાને પણ વસંત જ કહેવાય ને !

ઓળંગી ગયો…
![]()
(હૂંફ… …પતરંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
(કચ્છ, ઓક્ટોબર-૨૦૦૯)
*
હું સમયનાં આંસુઓની પાળ ઓળંગી ગયો,
આજમાં નિશ્ચલ ઊભો, ગઈકાલ ઓળંગી ગયો.
બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.
સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.
તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
મૌન ઓળંગી ગયો, સંવાદ ઓળંગી ગયો.
ગાલગાગા ગાલગા વેઢાં ઉપર ગણતો રહ્યો,
ગણતાં ગણતાં જાગૃતિનાં દ્વાર ઓળંગી ગયો.
કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.
- વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૧૦)
દ્વીપ હરિયાળો મળે – દિવ્યા મોદી
આજે દિવ્યા મોદીની એક તાજી ગઝલ…

(કે શિયાળો પણ મળે તો ખૂબ હૂંફાળો મળે… ફોટો: વેબ પરથી)
જિંદગીનો એ રીતે બસ અર્થ મર્માળો મળે,
કે શિયાળો પણ મળે તો ખૂબ હૂંફાળો મળે.
એક આખું આયખું કોરા રહી જીવી ગયા,
આંખની ભીનાશમાં એ વાતનો તાળો મળે.
કોયલોને બાગમાં જો મ્હેકતો માળો મળે,
વૃક્ષની હર ડાળ પર ટહુકાનો સરવાળો મળે.
સૂર્યને પીધા પછી બપ્પોર જ્યાં આડી પડે,
ત્યાં અચાનક વિસ્તરેલો કોઈ ગરમાળો મળે.
વ્હાલની મટકી લઈને આવનારા શખ્સને,
આ જગત આખા તરફથી કાંકરીચાળો મળે.
હાથમાં મારા, તમારી આ હથેળી લઉં અને
ધોમધખતા રણ વચાળે દ્વીપ હરિયાળો મળે.
- દિવ્યા મોદી
આમ તો વાંચતાવેંત જ ગઝલનાં બધા જ શે’રો ગમી ગયા, પરંતુ કોરા આયખાનો તાળો આંખની ભીનાશમાં મળવાવાળી વાત સાવ સોંસરવી ઉતરી ગઈ…!! આ જ રદીફ અને કાફિયાની સાવ અલગ જ પ્રકારની વિવેક ટેલરની એક ગઝલ પણ અહીં માણવા જેવી છે…

તું નથી તો શું થયું ? (તસ્બી) – વિવેક મનહર ટેલર
આજે વ્હાલા વિવેકના શબ્દોના શ્વાસના સરનામાને બરાબર ચાર વર્ષ પૂરાં થાય છે. વિવેક ગુજરાતી નેટ જગતનું ખૂબ જ લાડકું સંતાન છે, જેણે કેટલાય નવોદિતોને ગુજરાતી કાવ્યજગતમાં સાચી રાહ તરફ આંગળી ચીંધી છે અને એમના પાયાના ઘડતરમાં ખૂબ જ અગત્યનો ભાગ પણ ભજવ્યો છે; જેમ કે હું ! :-) મિત્ર વિવેકને આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ વેબસાઈટની ચોથી વર્ષગાંઠ પર મારા, તમારા અને ઊર્મિસાગર.કૉમ તરફથી આભલું ભરીને શુભેચ્છાઓ સહ… આજે વિવેકની એક ગઝલ બે ભગિની-ભાષાઓમાં પઠન સાથે માણીએ…
![]()
(જરા જરા ઉજાસ… શોજા, હિ.પ્ર. નવે.-2007… ફોટો: વિવેક ટેલર)
હું લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?
ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?
તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?
કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?
મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?
તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?
આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?
હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
- વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૦૮)
*
હવે આપણે માણીએ, આ ગુજરાતી ગઝલનો સાછંદ અનુવાદ… અને એનું હિંદીમાં પઠન !
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?
चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…
…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?
तू है-नहीं की बात में युगों है अंधियार,
है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?
कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,
उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?
यूँ रात पूरी रात काटने में काटी पर,
कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?
तू भूल गई जो उसी को कर के इस्तमाल
ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?
ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?
क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
-विवेक मनहर टेलर
(१५-०८-२००८)
*
તું નથી તો શું થયું ? - નું પુનરાવર્તન ‘તું નથી’ની વેદનાને ઘૂંટી ઘૂંટીને વધુ ને વધુ ઘેરી બનાવે છે. કાવ્યનાયકનાં ‘તો શું થયું ?’ નાં denialમાંથી જ તું નથી તોય આ બધું છે, પણ એ મારે શું કામનું છે - નો ભાવ અદભૂત રીતે ઉજાગર થાય છે…

સાધના કરવી પડે -કિરણકુમાર ચૌહાણ

(યાદ એવી આપ જેને યાદ ના… ફોટો: વેબ પરથી)
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
કયા શે’રને શિરમોર ગણવો- એ મૂંઝવણમાંથી બહાર નીકળી જ ન શકો એવી કિરણભાઈની આ ગઝલ થોડા દિવસ પહેલાં જ એમના બ્લોગ પર વાંચી અને મને એટલી બધી ગમી ગઈ કે તમારે માટે સીધી અહીં કોપી-પેસ્ટ કરી દીધી… :-)

मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ)
![]()
(આખરી ઉજાસ… ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*
થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।
રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।
આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’
જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।
હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।
- વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)
*
![]()
(કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી… …એટલાન્ટા, અમેરિકા, ૦૫-૧૧-૦૯)
ગઝલ -મનોજ ખંડેરિયા
તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.
મંજરીની મહેકનાં ભારે લચું,
એક આંબો જાણે કે મ્હોર્યો મને.
ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.
આ બધા શબ્દોનું ચિતરામણ કરી,
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.
ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.
એક્કે એક શે’ર પર આફ્રીન થઈ જવાય અને ‘દોબારા દોબારા’ શબ્દો મ્હોંમાંથી આપોઆપ નીકળી ઉઠે એવી મૃદુભાષી ગઝલ. કોઈ પણ એક શે’ર વિશે લખવા જઈશ તો અન્ય શે’રને જરૂર અન્યાય થઈ જશે… એટલે આ ગઝલને બસ એમ જ માણીએ !

ચાર ગઝલો (વિડીયો પઠન) -આદિલ મન્સૂરી
છઠ્ઠી નવેમ્બરે જનાબ શ્રી આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… એમને હૃદયપૂર્વક સાદર શ્રદ્ધાંજલિ. આ એક વર્ષમાં ન્યુ જર્સીમાં થયેલાં સાહિત્યલક્ષી કાર્યક્રમોમાં બધા સાહિત્યપ્રેમીઓને આદિલભાઈની ખોટ અચૂક વર્તાઈ છે અને કાયમ વર્તાતી રહેશે. અહીં ન્યુ જર્સીમાં તો ઘણા સાહિત્યપ્રેમીઓ આદિલભાઈને ’દાદા’ કરીને પણ બોલાવતા હતા. આજે આપણે માણીએ, આદિલભાઈ દ્વારા એમની ચાર ગઝલોનું વિડીયો પઠન… જે માર્ચ ૨૦૦૩માં ગેઈંસ્વિલ, ફ્લોરિડામાં શ્રી દિનેશ શાહ દ્વારા આયોજીત થયેલાં ‘પોએટ્રી ફેસ્ટીવલ ઓફ ઈંડિયા’નાં કાર્યક્રમની વિડીયોમાંથી લીધું છે. કાર્યક્રમની વિડીયો મોકલવા માટે દિનેશ અંકલનો ખૂબ ખૂબ આભાર.
*
વતનની ધૂળના એક્કેક કણને સાચવજો,
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો.
હવાને, બાગને,વહેતા ઝરણને સાચવજો,
ને હેમખેમ આ વાતાવરણને સાચવજો.
યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી
સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો.
બધુ જ ખૂંપી રહ્યું છે ક્ષણે ક્ષણે ઊંડે,
તમારો પગ ન પડે ત્યાં કળણને સાચવજો.
બધા એક યુગલમાંથી જન્મ તો પામ્યા,
કુટુંબમાં હવે અંતિમ મરણને સાચવજો.
ક્યહીં ન હાથથી છટકીને આપને વાગે,
હવામાં ઉંચે ઉગામેલા ઘણને સાચવજો.
આ દુનિયા જાય જહન્નમમાં તો જવા દેજો,
કોઈના નામના પ્રાતઃસ્મરણને સાચવજો.
બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.
‘કશો જ અર્થ નથી’ કહેવું યે નિરર્થક છે,
આ ભૂંડી ભાષાના પોપટરટણને સાચવજો.
તિમિરને તેજના મિશ્રણ ઉપર બધો આધાર,
સિતારા ચાંદ ને સૂરજકિરણને સાચવજો.
વતનની ધૂળ વિખેરાઈ જાય તે પહેલાં,
વતનની ધૂળના સૌ સંસ્મરણને સાચવજો.
દબાઈ જાય ના કીડીના કાફલા ‘આદિલ’,
વિજયની કૂચમાં ધસમસ ચરણને સાચવજો.
-આદિલ મન્સૂરી
(૧૮ માર્ચ, ૨૦૦૨ - ન્યુ યોર્ક)
***
લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.
કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.
આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ, રીક્ષા, ખટારા, કાર- વચ્ચે આવશે.
આંગણુ સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે.
વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી !
પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે.
માર્ગનાં અંતે હશે એક બારણું, પણ તે પ્રથમ
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.
તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.
કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર,
દોસ્તોના નામ વારંવાર વચ્ચે આવશે.
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.
આ ગઝલ ’આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય, પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે.
-આદિલ મન્સૂરી
***
લખચોર્યાસી ઈચ્છાઓના ઢગલાને ઓળંગી જા,
ઘટનાનાં પહેલા મૃત્યુની ઘટનાને ઓળંગી જા.
એક જ પગલામાં સાતે દરિયાને ઓળંગી જા,
વચ્ચે જો શંકા આવે તો શંકાને ઓળંગી જા.
પાંપણ ઢાળી દેવાની આ ઈચ્છાને ઓળંગી જા,
હે ઊંઘણશી! જાગ, ઊભો થા, સપનાંને ઓળંગી જા.
સોનેરી હરણાની જેમ જ માયા છે સીમાઓ પણ,
સંકલ્પોનાં વેગે લક્ષ્મણરેખાને ઓળંગી જા.
‘જે કાંઈ દેખાય રહ્યું તે માયા છે, કેવળ માયા !’
આવું કહેવું પણ માયા છે, માયાને ઓળંગી જા.
આખ્ખું યે બ્રહ્માંડ તો એની ઈચ્છાનું એક ટપકું છે,
થાય તને પણ જો ઈચ્છા તો ટપકાને ઓળંગી જા.
આ કાંઠે તો અવઢવનાં મોજાંઓ ઉછાળા મારે પણ,
સાંભળવી જો હોય બંસરી, જમનાને ઓળંગી જા.
બત્તી લાલ થતાં ધસમસતાં વાહન થંભ્યા જો!
ચાલ, હવે આ ખાબળખૂબળ રસ્તાને ઓળંગી જા.
-આદિલ મન્સૂરી
***
હા, એજ ગામ એજ હા, પાદર તને મળે,
ધૂળે ભરેલ શેરીનું એક ઘર તને મળે.
એકલતા વચ્ચે મૌનનું જે દર તને મળે,
એમાં જ કોઈ શબ્દનો અવસર તને મળે.
દિવસો ગયા કે પીઠની પાછળનાં ઘા ગણો,
છાતી જરા ઉઘાડ કે ખંજર તને મળે.
જેની સભાને ત્યાગીને તું નીકળી ગયો,
કાબાનાં બારણામાં એ કાફર તને મળે.
કંટક છવાયેલી રહી જીવન સફર ભલે,
મૃત્યુ પછી તો ફુલની ચાદર તને મળે,
પત્થર મૂક્યો છે એટલે ‘આદિલ’ કબર ઉપર,
દુનિયા તરફથી આખરી ઠોકર તને મળે.
-આદિલ મન્સૂરી
***
આદિલભાઈએ ર.પા.ને આપેલી ગઝલાંજલિ (જે આજે એમનાં માટે પણ એટલી જ સાચી લાગે છે!) લયસ્તરો પર માણો.

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો
*
આજ વર્ષો પછી આપ પાછાં ફર્યાં, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
ચાંદ સો-સો પૂનમનાય ઝાંખા પડ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
નાડ સામાન્ય છે તોય લાગે છે તેજ, આજની રાત શા માટે લાગે વિશેષ ?
આપ શું રાતના શ્વાસમાં તરવર્યાં ? આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
આ ગુફાનો નથી આદિ કે અંત ક્યાંય, અહીં સતત ચાલવું તેય થાક્યા સિવાય,
એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !
-વિવેક મનહર ટેલર
(૨૨,૨૩-૦૬-૨૦૦૯)
(રદીફ સૌજન્ય: શ્રી પ્રહલાદ પારેખ)









